ચૂંટણીના પરિણામો પહેલા NCP ના મહિલા ઉમેદવાર સામે કેસ દાખલ

દેશમાં લોકસભાની ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે. આજે સાંજે મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ એક્ઝિટ પોલ બહાર આવશે. ચૂંટણીના પરિણામને હવે માત્ર બે દિવસ બાકી છે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. આ તમામ પૃષ્ઠભૂમિ વચ્ચે, મહારાષ્ટ્રમાં NCP અજિત પવાર જૂથની મહિલા ઉમેદવારની મુશ્કેલી વધી ગઈ છે. આ મહિલા નેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
મહાયુતિના ધારશિવ ખાતેના ઉમેદવાર અર્ચના પાટીલની મુશ્કેલીઓ વધી ગઈ છે. NCP ઉમેદવાર અર્ચના પાટીલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઉમેદવારી પત્ર ભરતી વખતે જાહેર સભા યોજાઈ હતી, પરંતુ સભા યોજવાની પરવાનગી ન હોવાથી કેસ નોંધવામાં આવ્યો છે. ઉમેદવાર અર્ચના પાટીલ અને તેમના ઉમેદવાર પ્રતિનિધિ રેવણસિદ્ધ લાતુરે સામે કેસ નોંધવામાં આવ્યો છે.
અર્ચના પાટીલે લોકસભા ચૂંટણી માટે આવેદનપત્ર ભરવા માટે રેલી કાઢી હતી. જે બાદ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે બેઠક યોજાઈ હતી. આ વખતે અર્ચના પાટીલની રેલીને મંજૂરી આપવામાં આવી હતી . પરંતુ અજિત પવારની સભાને મંજૂરી આપવામાં આવી ન હતી. જોકે, અજિત પવારની સભા પરવાનગી વિના યોજીને આચારસંહિતાનો ભંગ થયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. હવે આખરે 43 દિવસ બાદ કેસ નોંધવામાં આવ્યો છે.
અર્ચના પાટીલ વતી માત્ર રેલી માટે જ પરવાનગી લેવામાં આવી હતી. મીટિંગ માટે પરવાનગી ન લેવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. 19 એપ્રિલે યોજાયેલી બેઠકનો કેસ 43 દિવસ બાદ દાખલ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, મંત્રી તાનાજી સાવંત, પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને અન્ય વિધાન સભ્યો સાથે મહાયુતિના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી.