ઝવેરી બજાર વિસ્તારનો કાયાપલટ કરવા સરકાર સહયોગ કરશે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ...
આમચી મુંબઈ

ઝવેરી બજાર વિસ્તારનો કાયાપલટ કરવા સરકાર સહયોગ કરશે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ…

પ્રથમ ‘ઝવેરી બજાર જેમ્સ એન્ડ જ્વેલરી ફેસ્ટિવલ 2025’નું ઉદ્ઘાટન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: દાયકાઓનો વારસો ધરાવતા અને દેશના અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ધરાવતા ઝવેરી બજાર વિસ્તાર હવે જેમ એન્ડ જ્વેલરી ફેસ્ટિવલને કારણે એક નવું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, એમ જણાવતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવી ખાતરી આપી હતી કે ઝવેરી બજાર વેલફેર એસોસિએશને આ બજાર વિસ્તારને પુનર્ગઠિત અને સુંદર બનાવવા માટે પહેલ કરશે તો રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર આને માટે જરૂરી તમામ સહાય પૂરી પાડશે.

મુંબઈના ઐતિહાસિક ઝવેરી બજારની ભવ્યતા, પરંપરા અને આર્થિક મહત્વ દર્શાવવા માટે ઝવેરી બજાર વેલફેર એસોસિએશને પ્રથમ વખત ‘ઝવેરી બજાર જેમ્સ એન્ડ જ્વેલરી ફેસ્ટિવલ 2025’નું આયોજન કર્યું છે. આ ઉત્સવ 22 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર, 2025 દરમિયાન યોજાઈ રહ્યો છે અને મુખ્ય પ્રદર્શન છ ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી ચાલશે.

સોમવારે આનું ઉદ્ઘાટન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ઝવેરી બજાર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. ફડણવીસે જણાવ્યું હતું કે ઝવેરી બજાર ભારતીય રત્ન અને ઝવેરાત ઉદ્યોગની કરોડરજ્જુછે અને અહીંની કારીગરી વિશ્ર્વભરમાં જાણીતી છે. સમયની મુશ્કેલીઓ છતાં, ઝવેરી બજારે તેની પરંપરા અને ગૌરવ જાળવી રાખ્યું છે.

આ ઉત્સવ દ્વારા, અહીંના વેપારીઓને વૈશ્ર્વિક વેપારીઓ સાથે વાતચીત કરવાની તક મળે છે. ભારતના નિકાસ ક્ષેત્રમાં આ ઉદ્યોગનો મોટો હિસ્સો છે અને જો વેપારીઓ તેમની ક્ષમતાઓ વધારશે, તો અર્થતંત્રમાં આ ઉદ્યોગનું યોગદાન પણ વધતું રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા મુશ્કેલીઓમાં તકો શોધવા માટે આપણને પ્રેરણા આપે છે એમ જણાવતાં મુખ્ય પ્રધાને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રત્ન અને ઝવેરાત બજારનું મહત્વ ક્યારેય ઘટશે નહીં, ભલે આંતરરાષ્ટ્રીય સ્તરે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પરંતુ ભવિષ્યમાં તે વધુ વિસ્તરશે.

આ પ્રસંગે ઝવેરી બજાર કલ્યાણ સંઘ અને ઇન્ડિયા ગોલ્ડ મેટાવર્સ વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર મુજબ, વેપારમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને બ્લોકચેન જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને વેપારને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવશે.

મુખ્ય પ્રધાને પણ આ કરારનું સ્વાગત કર્યું હતું. ઝવેરી બજારમાં પ્રદર્શન તરીકે ડિઝાઇન કરાયેલી આ પહેલ ખૂબ જ અનોખી છે તેમ કહીને સમગ્ર વિસ્તારને પ્રદર્શન ક્ષેત્રમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, આ કાર્યક્રમમાં પરંપરાગત સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ અને આધુનિક શણગારનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

ફડણવીસે લોકમાન્ય તિલક, સાવિત્રીબાઈ ફૂલે, વિવિધ દેવીઓના નામોથી પ્રવેશદ્વારો શણગારવા અને રામ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ જેવા વિષયો પર આધારિત બનાવવા બદલ આયોજકોની પ્રશંસા કરી. આ પ્રસંગે રત્ન અને ઝવેરાત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા ઉદ્યોગસાહસિકોનું મુખ્ય પ્રધાનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

ઝવેરી બજાર કલ્યાણ સંઘના પ્રમુખ હિતેશ જૈને રાજ્ય સરકાર, પ્રવાસન વિભાગ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મુંબઈ પોલીસનો આ ઉત્સવમાં સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.

આ પણ વાંચો…અમિત શાહે ફડણવીસ, શિંદે અને પવાર સાથે પોણી કલાક શું ચર્ચા કરી?

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button