આમચી મુંબઈ

‘અંગ્રેજીની પ્રશંસા કરવી અને ભારતીય ભાષાઓને ધિક્કારવી એ યોગ્ય નથી’: દેવેન્દ્ર ફડણવીસ

રાજ ઠાકરેએ હિન્દીને ત્રીજી ભાષા તરીકે લાગુ કરવાના રાજ્ય સરકારના નિર્ણય સામે બાંયો ચડાવ્યા બાદ ફડણવીસે કહ્યું એક વધુ ભાષા શીખવામાં શું વાંધો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રમાં હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવાનો મુદ્દો ફરી ગરમાયો છે. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે આપણે બધા અંગ્રેજીની પ્રશંસા કરીએ છીએ અને ભારતીય ભાષાઓને ધિક્કારીએ છીએ, આ યોગ્ય નથી. તેમણે પ્રશ્ર્ન ઉઠાવ્યો કે પ્રાદેશિક ભાષાની સાથે વધારાની ભાષા શીખવામાં શું ખોટું છે? મંગળવારે હિન્દીને ત્રીજી ભાષા તરીકે લાગુ કરતા મહારાષ્ટ્ર સરકારનો જીઆર બહાર પાડવામાં આવ્યા બાદ રાજ્યમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યા બાદ ફડણવીસને ખુલાસો કરવો પડ્યો છે.

ફડણવીસે બુધવારે પુણેમાં કહ્યું હતું કે, ‘મેં રાજ ઠાકરે સાથે વાત કરી છે. તેમણે કહ્યું હતું કે ફક્ત બે ભાષાઓ હોવી જોઈએ અને ત્રીજી ભાષા લાદવી નહીં. મેં તેમને કહ્યું કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં યોગ્ય વિચાર-વિમર્શ કરીને દેશભરમાં ત્રણ ભાષાની નીતિ લાગુ કરી છે.’

એનઈપી આખા દેશ માટે છે: દેવેન્દ્ર ફડણવીસ

તેમણે વધુમાં કહ્યું, ‘એનઈપી આખા દેશ માટે છે અને તેેથી મહારાષ્ટ્ર બે ભાષાની નીતિ અપનાવી શકતું નથી. તમિલનાડુ ત્રણ ભાષાની નીતિ સામે કોર્ટમાં ગયું હતું, જેને કોર્ટે પણ સ્વીકાર્યું ન હતું. જો કોઈ વિદ્યાર્થી પોતાની પ્રાદેશિક ભાષા શીખતી વખતે વધારાની એક ભાષા શીખે છે, તો તેમાં શું ખોટું છે? વધારાની ભાષા તેમના જ્ઞાનમાં વધારો કરવામાં મદદ કરશે. નિષ્ણાતો સાથે વ્યાપક ચર્ચા પછી એનઈપી લાવવામાં આવી હતી.’

ભારતીય ભાષાઓ અંગ્રેજી કરતાં ઘણી સારી છે: ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને એમ પણ કહ્યું હતું કે, ‘અમે નવા જીઆરમાં હિન્દી ભાષાને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવાની શરત દૂર કરી છે. હવે તમે કોઈપણ ભારતીય ભાષાને ત્રીજી ભાષા તરીકે પસંદ કરી શકશો. ત્રણ ભાષા નીતિ એનઈપી મુજબ છે. જો કોઈ ચોક્કસ ભારતીય ભાષા શીખવા માટે લગભગ 20 વિદ્યાર્થીઓ ઉપલબ્ધ હોય, તો એક શિક્ષક આપવામાં આવશે અથવા તે ઓનલાઈન પણ શીખવી શકાય છે. હું ફક્ત એક વાત કહેવા માંગુ છું કે આપણે બધા અંગ્રેજી ભાષાની પ્રશંસા કરીએ છીએ અને ભારતીય ભાષાઓનો અનાદર કરીએ છીએ, આ યોગ્ય નથી. ભારતીય ભાષાઓ અંગ્રેજી કરતાં ઘણી સારી છે.’

શિક્ષણ પ્રધાને કર્યો નિર્ણયનો બચાવ

મહારાષ્ટ્રના શાળા શિક્ષણ ખાતાના પ્રધાન દાદાજી ભૂસેએ બુધવારે શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવાના સરકારના નિર્ણયનો બચાવ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે તેનો ઉપયોગ દૈનિક સંદેશાવ્યવહારમાં વ્યાપકપણે થાય છે અને તે ઉચ્ચ શિક્ષણમાં ધોરણ બારમાના વિદ્યાર્થીઓને મદદ કરશે. તેમણે અભ્યાસક્રમ મુજબ મરાઠી ન શીખવતી શાળાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી.

મહારાષ્ટ્ર સરકારે મંગળવારે એક આદેશ જારી કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં ધોરણ પહેલાથી પાંચમા સુધીની મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વિદ્યાર્થીઓને હિન્દી સામાન્ય રીતે ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવશે. સુધારેલા સરકારી ઠરાવ (જીઆર) માં જણાવાયું છે કે હિન્દી સામાન્ય રીતે ફરજિયાત થવાને બદલે ત્રીજી ભાષા હશે.

જો શાળામાં પ્રતિ વર્ગ 20 વિદ્યાર્થીઓ હિન્દી સિવાય અન્ય કોઈપણ ભારતીય ભાષા શીખવાની ઇચ્છા વ્યક્ત કરે છે, તો તેમને હીન્દી નાપસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. કેટલાક મરાઠી સમર્થક સંગઠનોએ શરૂઆતમાં પીછેહઠ કર્યા પછી સરકાર પર પાછલા બારણેથી નીતિ ફરીથી લાગુ કરવાનો આરોપ લગાવ્યો હતો અને વિપક્ષ કોંગ્રેસે દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકાર પર મરાઠી લોકોની છાતીમાં છરો મારવાનો આરોપ લગાવ્યો હતો.

રાજ ઠાકરેએ પણ વિરોધ કર્યો

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ બુધવારે આ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે પહેલાથી પાંચમા ધોરણ સુધી હિન્દી ભાષા શીખવવાનો નિર્ણય લીધો છે. આ અંગે, મેં આવું ન કરવા માટે પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે કહ્યું હતું કે હિન્દી રાષ્ટ્રીય ભાષા નથી.

બીજી તરફ રાજ ઠાકરેની પ્રેસ કોન્ફરન્સ પછી મનસેના કાર્યકરો આક્રમક બન્યા હતા. હિન્દી પુસ્તકોના પહેલા અને છેલ્લા પાનાની હોળી કરવામાં આવી હતી અને પુસ્તકો પણ ફાડી નાખવામાં આવ્યા હતા. મનસેના મહાસચિવ મનોજ ચવાણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં હિન્દી લાદવા દેવામાં આવશે નહીં.

આ પણ વાંચો -‏‏‎ ઉદ્ધવ ઠાકરેએ ફરી રાજ ઠાકરે સાથે ગઠબંધનની વાત કરી, કોર્પોરેટરો સાથેની મુલાકાતમાં શું કહ્યું?

આદેશમાં શું ફેરફાર કરવામાં આવ્યા?

ભૂસેએ અગાઉ જણાવ્યું હતું કે અગાઉના સરકારી સંદેશાવ્યવહારમાં, હિન્દી માટે ફરજિયાત શબ્દનો ઉપયોગ થતો હતો. મંગળવારે જારી કરાયેલા સુધારિત આદેશમાં તેને સામાન્ય રીતે ત્રીજી ભાષા તરીકે વર્ણવવામાં આવી છે. તેમણે સરકારના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે વિદ્યાર્થીઓને હિન્દી શીખવાથી ફાયદો થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button