આમચી મુંબઈ

બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી સાયન બ્રિજને તોડવાનું કામ મુલતવી

મુંબઈ: પહેલાથી જ લોકલ ટ્રેનના ધાંધિયાના કારણે વિદ્યાર્થીઓ પરેશાન હતા તેવામાં સાયન બ્રિજને તોડવાનું કામ હાથ ધરાવાનું હોઇ તેમની મુશ્કેલીઓમાં વધારો થાય એવું જણાતું હતું. જોકે, દસમા અને બારમાની પરિક્ષાઓ ચાલુ હોવાનું ધ્યાનમાં રાખીને મધ્ય રેલવેએ બ્રિજનું તોડકામ મોકૂફ રાખવાનું નક્કી કર્યું છે.

બ્રિજનું તોડકામ મોકૂફ રાખવાની વિનંતી ટ્રાફિક પોલીસ દ્વારા મધ્ય રેલવેને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જર્જરીત અને જોખમી એવા સાયન બ્રિજને તોડવાની તૈયારી ચાલુ હતી તેવામાં તોડકામ મોકૂફ રાખવાની વિનંતી કરવામાં આવતા માર્ચ પહેલા બ્રિજને તોડવાનું કામ હાથ ધરાય એવી શક્યતા જણાતી નથી. ૨૮ ફેબ્રુઆરીએ મધરાતથી આ બ્રિજ બંધ રાખવાની સૂચના પણ જાહેર કરી દેવામાં આવી હતી. જોકે, ટ્રાફિક પોલીસની વિનંતી અને વિદ્યાર્થીઓની હાલાકીને જોતા હવે આ બ્રિજ તોડવાનું કામ મોકૂફ રાખવામાં આવ્યું હોવાનું મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
આ નિર્ણય લેવા માટે મધ્ય રેલવે અને ટ્રાફિક પોલીસ બંને વચ્ચે બેઠક યોજવામાં આવી હતી, જેમાં બાવીસ માર્ચ બાદ આ બ્રિજ લોકોના ઉપયોગ માટે બંધ કરવામાં આવે, તેવી વિનંતી કરવામાં આવી હતી.

આ પૂર્વે ૨૦ જાન્યુઆરીની તારીખથી બ્રિજ તોડી તેને ફરી ઊભો કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી. જોકે સાંસદ રાહુલ શેવાળેએ સ્થાનિકોના વિરોધને ધ્યાનમાં રાખીને આ કામગીરી ચાર દિવસ માટે સ્થગિત કરાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button