આમચી મુંબઈ

જોખમી સાયન ફ્લાયઓવરના ડિમોલિશનનો માર્ગ થયો મોકળો, ટ્રાફિક પ્રતિબંધ કેટલા વર્ષ ચાલશે જાણો

મુંબઈઃ વાહનવ્યવહાર અને લોકોની અવરજવર માટે જોખમી ગણાતો સાયન રેલવે ફ્લાયઓવરના ડિમોલિશનનો માર્ગ મોકળો થયો છે. સાયન રેલવે ફ્લાયઓવરને બંધ કરવાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. ગુરુવાર, ફેબ્રુઆરી 29 થી શરૂ કરીને આ બ્રિજ બે વર્ષ માટે વાહનવ્યવહાર માટે બંધ રહેશે, જેને કારણે સાયન હોસ્પિટલ પાસે ટ્રાફિક જામ થવાની સંભાવના છે.

સદીનું આયુષ્ય ભોગવનારા પુલોમાં સાયન રેલવે ફ્લાયઓવરનો પણ સમાવેશ થાય છે. રેલવે અને IIT નિષ્ણાતોના અહેવાલમાં સાયન રેલવે ફ્લાયઓવરને તોડીને નવો બનાવવાની ભલામણ કરવામાં આવી હતી. તે મુજબ રેલવે પ્રશાસને 20 જાન્યુઆરીથી બ્રિજ બંધ કરવાની યોજના બનાવી હતી. જો કે, સાંસદ રાહુલ શેવાળેએ રેલવે ફ્લાયઓવર પર ટ્રાફિક બંધ કરવાનો વિરોધ કરતા કહ્યું હતું કે સ્થાનિકોના મંતવ્યો ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. આખરે પુલ તોડી પાડવાનો માર્ગ મોકળો થયો છે. બ્રિજ પર ટ્રાફિકને રોકવા માટે ટ્રાફિક પોલીસે મધ્ય રેલવેને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપ્યું છે.


સાયન રેલવે ફ્લાયઓવર પૂર્વીય એક્સપ્રેસ-વે અને ધારાવી, 90 ફૂટ રોડને જોડતા મહત્વના પુલ તરીકે ઓળખાય છે. જેના કારણે સાયન હોસ્પિટલ ચોક પાસે પુલ બંધ થયા બાદ વૈકલ્પિક માર્ગ જણાવવામાં આવ્યો છે, ત્યાં મોટો ટ્રાફિક જામ થવાની શક્યતા છે. બ્રિજનું કામ 24 મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે જેમાં ડિમોલિશન માટે છ મહિના અને બાંધકામ માટે 18 મહિનાનો સમય છે. બ્રિજ પરના વિવિધ કેબલ દૂર કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે. બીજા તબક્કામાં બ્રિજ, ડામર રોડ પરના સ્લેબ દૂર કરવામાં આવશે. અંતિમ તબક્કામાં બ્રિજના ગર્ડર ખાસ ટ્રાફિક અને પેવર બ્લોક સાથે દૂર કરવામાં આવશે.


MUTP-2 પ્રોજેક્ટ હેઠળ આવતા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને કુર્લા સ્ટેશન વચ્ચેની પાંચમી અને છઠ્ઠી લાઇનનું કામ પુલને કારણે અટકી ગયું હતું. બ્રિજના ડિમોલિશન બાદ પાંચમા-છઠ્ઠા કોરિડોર માટેનો માર્ગ મોકળો થશે. હાલના પુલના થાંભલા નવા રૂટની સૂચિત જગ્યાએ આવેલા છે. રેલવે અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેને હટાવ્યા બાદ નવા રૂટ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button