દેવામાં ડૂબેલા ખેડૂતોની ‘ગાંજા’ની ખેતી કરવાની માગણી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

દેવામાં ડૂબેલા ખેડૂતોની ‘ગાંજા’ની ખેતી કરવાની માગણી

નાગપુર: મહારાષ્ટ્રમાં કપાસની ખેતીનું કેન્દ્ર અને કૃષિ સંકટને કારણે રાજ્યની આત્મહત્યાની રાજધાની તરીકે અળખામણું થયેલ યવતમાળમાં દેવામાં ગ્રસ્ત ખેડૂતોએ એક ઉચ્ચ સરકારી અધિકારીને એવી ઊગ્ર માગ કરી હતી કે અમારું અસ્તિત્વ ટકાવવા અમને ’ગાંજા’ ની ખેતી કરવા માટે સત્તાવાર મંજૂરી આપો!

યવતમાળમાં ખેડૂતોની દુર્દશાનો આના ઉપરથી અંદાજ આવી શકે છે.

શુક્રવારે અમરાવતીના ડિવિઝનલ કમિશનર નિધિ પાંડેને મેમોરેન્ડમ સોંપનાર ખેડૂતો, હિંગોલીથી ભૂતપૂર્વ સંસદસભ્ય રાજુ શેટ્ટીની આગેવાની હેઠળની એક પ્રભાવશાળી ખેડૂત સંગઠન, શેતકરી સંગઠન (સ્વાભિમાની) સાથે જોડાયેલા છે. પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કપાસના ખેડૂત મનીષ જાદવે કર્યું હતું. તેઓએ પરંપરાગત પાકોમાંથી નબળા વળતર અને ભરણપોષણ માટે ગાંજા પર આશા રાખવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના ખેતરો પર પોલીસની છાપામારીમાં કપાસના છોડ વચ્ચે ગુપ્ત રીતે ઉગાડેલા ગાંજાના પાકનો વિશાળ જથ્થો પકડાયાની ઘટનાના અઠવાડિયાઓ પછી આ માગ કરવામાં આવી છે. જિલ્લાના ઢોંસરા અને બરગેવાડાઈ ગામના છ ખેડૂતોની આ મામલે ધરપકડ પણ કરવામાં આવી હતી.

જાધવે કહ્યું કે કેનાબીસ ઉગાડવાની માગ પ્રતીકાત્મક હતી. “અમે અમારી દુર્દશા તરફ રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ, તેમણે વધુમાં જણાવ્યું કે આ વર્ષે યવતમાળમાં પૂરના સંકટ પછી યવતમાળના ખેડૂતોને કોઈ રાહત મળી નથી. પાક નુકસાન સર્વેક્ષણમાં મોટા ભાગની જમીનનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો અને યવતમાળના ખેડૂતોને પાક વીમા યોજના હેઠળ અગાઉ ચુકવણી પણ નકારી કાઢવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ગાંજો ઉગાડતા પકડાયેલા ખેડૂતો હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને તેઓ દેવાં વધી જવાથી પીડિત છે. ગાંજાના કેસમાં આરોપીના પુત્ર પ્રકાશ (નામ બદલ્યું છે) એ સમાચાર પત્રોને જણાવ્યું કે તેમનો પરિવાર ૧૦ એકર જમીન ધરાવે છે, પરંતુ તેમાંથી મોટાભાગની જમીન પહાડી વિસ્તારમાં છે અને કપાસની ઉપજ નબળી છે.
ઉપરાંત જમીનના યોગ્ય દસ્તાવેજો ન હોવાના કારણે સરકારી સહાય મળતી નથી. દેવાનો બોજ અને ખેતીના ખર્ચને પહોંચી વળવા ગાંજો ઉગાડવો સૌથી સહેલો ઉપાય છે. તેના પિતા હજુ પોલીસ કસ્ટડીમાં છે. પ્રકાશે કહ્યું કે તે ભાઈ-બહેનોમાં સૌથી મોટો છે અને પુણેની એક ફેક્ટરીમાં કામ કરે છે. મારા પિતાની ધરપકડ પછી હું યવતમાળ ગયો. મારો નાનો ભાઈ એક વિદ્યાર્થી છે અને હવે મારી માતાને ખેતરોની સંભાળ રાખવાની ફરજ પડી છે, તેણે કહ્યું.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button