આમચી મુંબઈ

રવિવારે રડાવ્યા, હવે સોમવારનો સામનો આજે મધ્ય રેલવેના પ્રવાસીઓની અગ્નિપરીક્ષા

હાલાકી….: રવિવારે રેલવે પ્રવાસીઓ બ્લોક, ગરમી અને ટ્રેનના ધાંધિયાને કારણે હેરાન થયા હતા. રેલવેની ત્રણેય લાઇનમાં બ્લોક હતો, તેથી વિવિધ સ્ટેશનો પર સમારકામ હાથ ધરાયું હતું. તસવીરમાં દાદર સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોઇ શકાય છે. જીવના જોખમે ટ્રેન પકડતા પ્રવાસીઓ નજરે પડ્યા હતા. (તસવીર: અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેના ધાંધિયા કંઈ ઓછા થવાના નામ નથી લઈ રહ્યા અને આવતીકાલે એટલે કે અઠવાડિયાનાં પહેલાં દિવસે પણ મધ્ય રેલવે પર પ્રવાસીઓને હાલાકીમાંથી રાહત મળે એવા કોઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી. શુક્રવારથી મધ્ય રેલવે પર મોટરમેન દ્વારા અસહકારની ચળવળ ચલાવવામાં આવી રહી હોય ઓવરટાઈમ કરવાનું બંધ કરવામાં આવ્યું છે. પરિણામે એકલા શનિવારે જ મધ્ય રેલવે પર ૧૫૦થી વધુ લોકલ ટ્રેન રદ કરવામાં આવી હતી અને હવે આજે પણ પરિસ્થિતિ ખાસ કંઈ નહીં બદલાય એવી શક્યતા સાધનો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.

મધ્ય રેલવે પર લોકલ ટ્રેન ચલાવતી વખતે મોટરમેન દ્વારા કેટલીક વખત અજાણતા જ સિગ્નલ જમ્પ થાય છે કે ઓવરશૂટ થાય છે. આ ભૂલ માટે રેલવે દ્વારા અનેક મોટરમેન પર કમ્પલસરી રિટાયરમેન્ટ (ઈછજ) ની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીના ડરને કારણે મોટરમેન્સ સંગઠને નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, આ જ તણાવનો કથિત રીતે ભોગ બનનારા મોટરમેન મુરલીધર શર્મા (૫૪)નું શુક્રવારે એક્સિડન્ટ થતાં મૃત્યુ થયું હતું. શનિવારે મધ્ય રેલવે પરના અનેક મોટરમેન પોતાના સાથી મોટરમેન શર્માની અંતિમયાત્રામાં જોડાવવા કલ્યાણ પહોંચી ગયા હતા, જેમાં સેંકડો લોકો જોડાઈને સાયલન્ટ રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો.

શનિવારે સવારથી લોકલ ટ્રેનો મોડી દોડી રહી હતી અને સીએસએમટી-કલ્યાણ વચ્ચે અનેક ટ્રેનો રદ કરવામાં આવતા કર્જત, કસારા જેવી લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસીઓની ભીડ વધી ગઈ હતી અને છેલ્લા બે દિવસથી પ્રવાસીઓની હાલાકીનો અંત આવતો નથી દેખાઈ રહ્યો, કારણ કે અઠવાડિયાનાં પહેલાં જ દિવસે એટલે કે સોમવારે પણ લોકલ ટ્રેનોના ધાંધિયા જ જોવા મળશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, જેને કારણે પ્રવાસીઓએ હાલાકી ભોગવવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે મોટરમેન ઓવરટાઈમ નહીં કરીને રેલવે પ્રશાસન સામે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

દરમિયાન સૂત્રો દ્વારા એવી આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે કે શનિવારે આટલી મોટી સંખ્યામાં સાથી મોટરમેનની અંતિમયાત્રામાં સહભાગી થવા પહોંચેલા મોટરમેનોએ રેલવે સામે બળવો પોકારવા માટે આ એક નવો રસ્તો તો નથી શોધ્યો ને? એવું પણ કહેવાઈ કહ્યું છે કે આ તો હજી માત્ર ટ્રેલર જ છે અને જો રેલવે દ્વારા આ કાર્યવાહીનું શસ્ત્ર પાછું નહીં ખેંચવામાં આવે તો પ્રવાસીઓએ વધારે હાલાકી ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

મધ્ય રેલવેની માફક પશ્ર્ચિમ રેલવેમાં પણ ટ્રેનોની વધતી અનિયમિતતાનો ભોગ પ્રવાસીઓ બની રહ્યા છે, પરંતુ રેલવે પ્રશાસન દ્વારા તેના સંબંધમાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓ તેની હાલાકીનો ભોગ બની રહ્યા છે અને એની રોજની સમસ્યા છે, એમ બોરીવલીના પ્રવાસીએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ