અશાંત પડોશી વચ્ચે બંધારણે ભારતને મજબૂત અને એક રાખવાની ખાતરી આપી છે: સીજેઆઈ

રત્નાગિરી: ભારતના ચીફ જસ્ટિસ ભૂષણ ગવઈએ રવિવારે જણાવ્યું હતું કે, જ્યારે પડોશી રાષ્ટ્રો નાગરિક અશાંતિ અને અશાંતિનો સામનો કરી રહ્યા છે ત્યારે બંધારણે ખાતરી આપી છે કે દેશ મજબૂત અને એક રહે.
મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના માંડણગઢ તાલુકામાં કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યા પછી બોલતા, સીજેઆઈએ ખુશી વ્યક્ત કરી હતી કે તે એવા વિસ્તારમાં આવ્યું છે જેમાં બંધારણના મુખ્ય શિલ્પી અને સુપ્રસિદ્ધ સમાજ સુધારક બાબાસાહેબ આંબેડકરનું મૂળ ગામ આંબાવડ પણ આવેલું છે.
‘યુદ્ધ અને શાંતિમાં દેશ એક રહ્યો છે અને વિકાસના માર્ગ પર છે. આપણે આંતરિક કટોકટી પણ જોઈ છે, પરંતુ આપણે મજબૂત અને એક રહ્યા છીએ. તે ડો. બાબાસાહેબ આંબેડકરના બંધારણને કારણે છે, જે આપણને એવા પાડોશી દેશોથી અલગ પાડે છે જેઓ અશાંતિનો સામનો કરી રહ્યા છે,’ એમ મુખ્ય ન્યાયમૂર્તિ ગવઈએ કહ્યું હતું.
શ્રીલંકા, બાંગ્લાદેશ અને તાજેતરમાં નેપાળમાં નાગરિકો અશાંતિ અને સરકારોમાં પરિવર્તન તેમજ રમખાણો અને આગચંપીને કારણે મોટા પાયે તકલીફ વેઠી રહ્યા છે.
‘છેલ્લા 22 વર્ષોમાં ન્યાયાધીશ તરીકે, અમે (ન્યાયમૂર્તિઓ) ન્યાયના વિકેન્દ્રીકરણ માટે ઊભા રહ્યા છીએ અને અનેક ન્યાયિક માળખાકીય પ્રોજેક્ટ્સ પૂર્ણ થાય તે સુનિશ્ર્ચિત કર્યું છે. મને જે બાબત ખૂબ સંતોષ આપે છે તે છે કોલ્હાપુર સર્કિટ બેન્ચ (બોમ્બે હાઈકોર્ટની) અને આ માંડણગઢ કોર્ટ બિલ્ડિંગ, જે બે વર્ષમાં પૂર્ણ થઈ ગઈ છે,’ એમ તેમણે કહ્યું હતું.
આને એક સ્વપ્નનું સાકારીકરણ ગણાવતા, સીજેઆઈએ માંડણગઢ કોર્ટ બિલ્ડિંગ પ્રોજેક્ટને ઝડપી બનાવવા બદલ મહારાષ્ટ્ર સરકારનો આભાર માન્યો હતો.
‘ભલે વહીવટીતંત્ર અને ન્યાયતંત્રની સત્તાઓના વિભાજનના સિદ્ધાંતથી લોકોને ન્યાય મળે તેવી અપેક્ષા રાખવામાં આવે છે, પણ ન્યાયતંત્રને ભંડોળના સંદર્ભમાં વહીવટીતંત્ર પાસેથી સહયોગ મેળવવો પડશે જેથી ન્યાય બધા સુધી પહોંચે. તાજેતરમાં નાશિક, નાગપુર, કોલ્હાપુર, દરિયાપુરમાં કોર્ટની ઇમારતોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મને તેમના બાંધકામની ગુણવત્તા પર ગર્વ છે,’ એમ તેમણે કહ્યું હતું.
આ અદાલતો બાબાસાહેબ આંબેડકરના સ્વપ્નને પૂર્ણ કરશે કે છેલ્લા નાગરિકને ઝડપી ન્યાય મળે, એમ પણ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ ભારપુર્વક જણાવ્યું હતું. (પીટીઆઈ)
આ પણ વાંચો : મહારાષ્ટ્રના નાણાપ્રધાન દસમું પાસ છે: અંજલિ દમણિયાએ અજિત પવારની ટીકા કરી