કોંગ્રેસને ભ્રષ્ટાચાર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી: એકનાથ શિંદે

નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવા બદલ કોંગ્રેસની ટીકા કરી હતી.
તેમણે કહ્યું કે 2004 અને 2014 વચ્ચે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર સત્તામાં હતી ત્યારે થયેલા અનેક કૌભાંડોથી દેશના લોકો વાકેફ છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર શ્રેષ્ઠ કૃષિ રાજ્ય: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એવોર્ડ સ્વીકારશે
કોંગ્રેસને ભ્રષ્ટાચાર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. અમે કોલસાકાંડ, કોમનવેલ્થ ગેમ્સ, ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદી વગેરેમાં થયેલા કૌભાંડો જોયા છે. કોંગ્રેસનું શાસન કટ, કમિશન અને ભ્રષ્ટાચાર પર આધારિત હતું, એમ એકનાથ શિંદેએ નાગપુર એરપોર્ટ પર પત્રકારોને જણાવ્યું હતું.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભ્રષ્ટાચારીઓના નેતા ગણાવતા મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેના નિવેદનનો જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો: ટી-20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમને રૂ. 11 કરોડનું ઈનામ: એકનાથ શિંદે
જોગેશ્વરીમાં પાલિકાની જમીન પર લક્ઝરી હોટલ બાંધવાના કેસમાં શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના નવા ચૂંટાયેલા વાયવ્ય મુંબઈ લોકસભાના સાંસદ રવિન્દ્ર વાયકરને મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખા (ઈઓડબ્લ્યુ) દ્વારા આપવામાં આવેલી ક્લીન-ચીટના સંદર્ભમાં પટોલેનું નિવેદન કથિત રીતે આવ્યું હતું.
શિંદેએ એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મહાયુતિ (ભાજપ, શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીનું શાસક ગઠબંધન) 12 જુલાઈના રોજ થનારી મહારાષ્ટ્ર વિધાન પરિષદની 11 બેઠકોમાંથી 9 બેઠકો જીતશે. (પીટીઆઈ)