‘ઠાકરે મિલાપ’ માટે પરિવારના નજીકના સભ્યો અને મિત્રો એક્શનમાં

મુંબઈઃ ટૂંક સમયમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક ભાગમાં નગર પાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે. પણ અત્યારે એ ચૂંટણી કરતા વધારે ગરમાગરમ મુદ્દો ઠાકરે બંધુઓના પુનઃમિલનનો છે. બાળા ઠાકરેની હયાતીમાં જ શિવસેનાને ‘જય મહારાષ્ટ્ર’ કહીને નીકળી ગયેલા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ સાથે આવવું જોઈએ તેવું બંને ભાઈઓના મિત્રો અને બાળાસાહેબના કેટલાક વફાદાર નેતાઓ ઘણા સમયથી કહી રહ્યા છે. આ બાબત બંને ભાઈઓના સીધા નિવેદનો નથી આવ્યા પણ બંને પક્ષના નેતાઓએ ઘણું કહ્યું છે.
બંને ભાઈઓએ એકબીજા સાથે વાત કરી શકે
હવે પરિવારના નજીકના સંબંધીઓએ બંને પિતરાઈ ભાઈઓ વચ્ચેના અંતરને દૂર કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ઠાકરે પરિવારના નજીકના સંબંધીઓ અને પારિવારિક મિત્રો બંને નેતાઓ સાથે વાત કરી રહ્યા છે, જેથી બંને ભાઈઓ ફોન પર અથવા રૂબરૂમાં એકબીજા સાથે સીધી વાત કરી શકે.
આ પણ વાંચો: ઠાકરે સેનાની બેઠક પૂર્ણ; રાજ-ઉદ્ધવના ભેગા થવા અંગે શું ચર્ચા થઈ? કિશોરી પેડણેકરે માહિતી આપી
ઉત્તરાધિકારનો સંઘર્ષ મતભેદનું કારણ હતો
પારિવારિક પ્રસંગોએ મળવા અને ઔપચારિક વાતચીત સિવાય રાજ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ઘણા વર્ષોથી કોઈ સીધો સંપર્ક નથી. તેમની વચ્ચેના અંતરે મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે અને હવે તેમના એક સાથે આવવાની અટકળો ચાલી રહી છે. શિવસેનામાં ઉત્તરાધિકાર અને સર્વોપરિતા માટેનો સંઘર્ષ મુખ્યત્વે બંને ભાઈઓ વચ્ચેના મતભેદનું કારણ બન્યા હતા.
ઠાકરેનો નિર્ણય રાજ ઠાકરેના સમર્થકો માટે આંચકો હતો
શરૂઆતમાં રાજ ઠાકરેને શિવસેનામાં બાળ ઠાકરેના સંભવિત ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવતા હતા કારણ કે તેઓ વક્તૃત્વ કૌશલ્યમાં અને દેખાવમાં પણ તેમના કાકા જેવા જ છે. જોકે, 2003માં બાળ ઠાકરેએ તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરેને શિવસેનાના કાર્યકારી પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા. બાળ ઠાકરેનો આ નિર્ણય રાજ ઠાકરે અને તેમના સમર્થકો માટે મોટો આંચકો હતો, કારણ કે તેમને લાગ્યું કે તેમને પાર્ટીમાં અવગણવામાં આવી રહ્યા છે. રાજ ઠાકરેને પણ આ બાબત અપમાનજનક લાગી હતી.
2028 સુધી મનસે પ્રમુખ છે રાજ ઠાકરે
ત્યાર બાદ રાજ ઠાકરેએ 2005માં શિવસેના છોડી દીધી અને 2006માં પોતાની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) બનાવી. ત્યારથી, બંને ભાઈઓના રાજકીય માર્ગો અલગ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે રાજ ઠાકરે બાળ ઠાકરેના નાના ભાઈ શ્રીકાંત ઠાકરેના પુત્ર છે. રાજ ઠાકરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ છે અને જૂન 2024માં આગામી 4 વર્ષ માટે એટલે કે 2028 સુધી ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયા છે.