મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનનું સસ્પેન્સ યથાવત શાહના ઘરે 3 કલાકની મેરેથોન બેઠકમાં, કોઈ નિર્ણય ન લઈ શકાયો…

મુંબઇઃ મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન કોણ હશે એ અંગે ગઈકાલે રાત્રે દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાને લગભગ 3 કલાકની બેઠક થઇ હતી, પણ આ પ્રશ્નનો જવાબ મળ્યો નથી. મહાયુતિના નેતા અને કાર્યકારી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને બંને પૂર્વ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર અમિત શાહને મળ્યા હતા. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ નડ્ડા પણ હાજર હતા. એનસીપીના સાંસદ સુનીલ તટકરે અને પ્રફુલ પટેલ પણ હાજર હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહપ્રધાન શાહે ગઈકાલે રાત્રે શિંદે, ફડણવીસ અને અજિત પવાર સાથે અલગ-અલગ વાત કરી હતી. શાહે ત્રણેય સાથે કેબિનેટ વિભાજન અંગે વિચાર-વિમર્શ કર્યો છે. માહિતી આવી રહી છે કે વિધાન સભ્યોની સંખ્યાના હિસાબે ભાજપ લગભગ 20 મંત્રાલયો પોતાની પાસે રાખવા માંગે છે. શિવસેનાને એનસીપી કરતા વધુ મંત્રીપદ મળવાની આશા છે.
જોકે, કયો વિભાગ કોની પાસે રહેશે તે અંગે હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી અને સૌથી મહત્વની વાત એ છે કે આ બેઠક બાદ પણ મુખ્ય પ્રધાન પદને લઈને ચાલી રહેલી મડાગાંઠનો અંત આવ્યો નથી. આ બેઠક ત્રણ કલાક ચાલી હતી. બેઠક બાદ ત્રણેય એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મોડી રાત્રે મુંબઈ પાછા ફર્યા હતા.
અજિત પવાર અને ફડણવીસ એકસાથે મુંબઈ પહોંચી ગયા હતા, જ્યારે એકનાથ શિંદે એકલા મુંબઈ જવા રવાના થયા હતા. હવે સમાચાર છે કે આજે જ ફોન પર બીજા રાઉન્ડની ચર્ચા થશે. એવા પણ સમાચાર છે કે શપથ ગ્રહણ 2જી ડિસેમ્બર અથવા 5મી ડિસેમ્બરે થઈ શકે છે.
દિલ્હીની બેઠક અંગે કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ બેઠક સારી અને સકારાત્મક હતી. આ પહેલી મુલાકાત હતી, જેમાં શાહ અને જેપી નડ્ડા મળ્યા હતા. શિંદેના જણાવ્યા અનુસાર મહાયુતિના નેતાઓ મુંબઈમાં બીજી બેઠક કરશે જેમાં સીએમના નામ પર નિર્ણય લેવામાં આવશે. અગાઉ, શિંદેએ પુનરોચ્ચાર કર્યો હતો કે મુખ્ય પ્રધાન પદ માટે કોઈ અવરોધો નથી અને જણાવ્યું હતું કે મેં ગઈ કાલે પત્રકાર પરિષદમાં મારી ભૂમિકા સ્પષ્ટ કરી દીધી હતી કે મહાયુતિના મુખ્ય પ્રધાનને લઈને કોઈ અવરોધ નથી.
આ પણ વાંચો…મહારાષ્ટ્રની કેબિનેટમાં કોને કેટલાં પ્રધાનપદ મળશે?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મહાયુતિને 233 સીટો મળી હતી. આટલો બમ્પર મેન્ડેટ મળવા છતાં સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન હજુ સુધી મુખ્ય પ્રધાન માટે તેની પસંદગી નક્કી કરી શકી નથી. 280 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ 132 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો, જ્યારે તેના સાથી પક્ષો- એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી NCPએ અનુક્રમે 57 અને 41 બેઠકો જીતી હતી.