મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે સારા સમાચાર, ટ્રેન હવે સમયસર ચાલશે

લોકલ ટ્રેનો તો મુંબઇગરાની લાઇફલાઇન છે. જો લોકલ ટ્રેન થોડી પણ મોડી પડે તો મુંબઇગરાનું આખા દિવસનું શેડ્યુલ ખોરવાઇ જાય છે. છેલ્લા કેટલાક દિવસોથી મધ્ય રેલવેની લોકલ ટ્રેનોના ધાંધિયા જ હતા. CSMT સ્ટેશનમાં બેસાડવામાં આવેલી આધુનિક નવી ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના નિયમને કારણે લોકલ ટ્રેનો મોડી દોડતી હતી. મધ્ય રેલવેમાં આખરે 15 દિવસ બાદ ટ્રેનની સ્થિતિમાં સુધારો થશે. દિલ્હીથી રેલવે બોર્ડ દ્વારા સેન્ટ્રલ રેલવે એડમિનિસ્ટ્રેશનને સોફ્ટવેરમાં ફેરફાર કરવાની પરવાનગી આપવામાં આવી છે. હવે નવી સિસ્ટમમાં પહેલાની જેમ ટ્રેન ક્રોસઓવરથી 70 મીટર આગળ વધ્યા બાદ બીજી ટ્રેન દોડાવવામાં આવશે. જેથી લોકલ સેવાઓ સમયપત્રક મુજબ ચાલશે અને મુંબઈગરાઓને મોટી રાહત મળશે.
રવિવારે રાત્રે સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ સોમવારે રજા હોવાથી લોકલ ટ્રેનો મધ્ય રેલવેના રજાના શિડ્યુલ પ્રમાણે દોડતી હતી. સેન્ટ્રલ રેલ્વેનો આ બદલાવ મંગળવારે ફાયદાકારક રહેશે કે કેમ તે જોવાનું રહેશે.
મધ્ય રેલવેએ CSMT રેલવે સ્ટેશનથી લાંબા અંતરની 24-કોચની મેલ-એક્સપ્રેસ ટ્રેનો માટે પ્લેટફોર્મ નંબર 10 અને 11ને લંબાવ્યા છે. ઉપરાંત મેલ-એક્સપ્રેસ અને ઉપનગરીય લોકલ ટ્રેનોના સુરક્ષિત અને કોમ્પ્યુટરાઈઝ્ડ હેન્ડલિંગની ખાતરી કરવા માટે CSMTમાં ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.
આ પણ વાંચો : મધ્ય રેલવેમાં ટ્રેનોના ધાંધિયાથી મુસાફરો પરેશાન, દરરોજ ‘દસ કલાક’ મોડી પડી રહી છે ટ્રેનો
પરંતુ આ સિસ્ટમ લગાવ્યા બાદ એટલે કે 2 જૂન 2024થી લોકલ ટ્રેન દરરોજ 15 થી 20 મિનિટ મોડી દોડતી હતી. લોકલ ટ્રેનોના સમયપત્રકને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે મધ્ય રેલવે પ્રશાસન દરરોજ કેટલીક લોકલ ટ્રેનોને રદ કરતું હતું, જેને કારણે ટ્રેનોમાં ભીડ જોવા મળી રહી હતી અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ઉપનગરીય લોકલ અને લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ CSMT સ્ટેશનથી ચાલે છે. સ્ટેશન પરથી દરરોજ લગભગ 1400 લોકલ અને 100 થી વધુ મેલ-એક્સપ્રેસ પસાર થાય છે. આ ટ્રેનોને વહેલા સિગ્નલ ન મળતાં, લોકલ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી અને મુસાફરોની હાલાકી વધી ગઇ હતી.
લોકલ સમયપત્રક જાળવવા અને મુસાફરોની દુર્દશાને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવેએ રેલવે બોર્ડના સિગ્નલ અને ટેલિકોમ વિભાગને પરિપત્રમાં નિયમો હળવા કરવા વિનંતી કરી હતી. આ મુજબ, રેલવે બોર્ડે સોમવારે મધ્ય રેલવેને ક્રોસઓવરથી ટ્રેન 70 મીટર આગળ વધ્યા બાદ બીજી ટ્રેન ચલાવવાની મંજૂરી આપી છે.
CSMT-કુર્લા વચ્ચે પાંચમી-છઠ્ઠી રેલ્વે લાઇન નથી. તેથી મેલ-એક્સપ્રેસ અને ફાસ્ટ લોકલ માટે અલગ- અલગ રૂટ નથી. ફાસ્ટ લોકલ અને મેલ-એક્સપ્રેસ ટ્રેનો ફાસ્ટ અપ-ડાઉન ટ્રેક પર જ ચલાવવામાં આવે છે. સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન મુંબઈમાં અને બહાર દોડતી મેઈલ- એક્સપ્રેસની સંખ્યાને જોતાં તેની સીધી અસર સ્થાનિક સેવા પર પડે છે. જોકે, રેલવે બોર્ડે નિયમોમાં રાહત આપી છે.