ગેરકાયદે બાંધકામ પર હથોડોઃ હાર્બર લાઈનમાં રેલવેએ 165 અતિક્રમણ દૂર કર્યા
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/Central-Railway-officials-removing-encroachments-along-the-Harbour-line-between-Chunabhatti-and-GTB-Nagar.webp)
મુંબઈ: મધ્ય રેલવેની હાર્બર લાઈનમાં જમીન પર ગેરકાયદે રીતે કબજો કરવો એ મુંબઈની ટ્રેન સેવા અને રેલવે પ્રશાસન માટે એક મોટી સમસ્યા બની છે. આ બાબતમાં મધ્ય રેલવે દ્વારા હાર્બર લાઇનમાં ચુનાભટ્ટી અને ગુરુ તેજ બહાદુર નગર (જીટીબી) સ્ટેશન નજીકના ગેરકાયદે કરેલા અતિક્રમણ હટાવવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. મધ્ય રેલવેના આ અભિયાન હેઠળ ચુનાભટ્ટી અને ગુરુ તેગબહાદુર નગર (જીટીબી) સ્ટેશન પરિસરમાં 165 જેટલા ગેરકાયદે બાંધકામ અને ઝૂંપડાઓ હટાવવામાં આવ્યા હતા.
અહીંના પરિસરમાં લગભગ 140 નાની દુકાન અને 25 જેટલા ઝૂંપડા પણ દૂર કરવામાં આવ્યા હતા. મધ્ય રેલવે દ્વારા આ રવિવારે પણ ટ્રાન્સ હાર્બર લાઇનમાં આ અભિયાન ચલાવ્યું હતું, જેમાં બેલાપુર અને ઘનસોલી ખાતે બાંધવામાં આવેલા અતિક્રમણને પણ હટાવવામાં આવ્યું હતું.
મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનમાં અંદાજે 24,500 જેટલા અનધિકૃત બાંધકામ કરવામાં આવ્યા છે એટ્લે આ અતિક્રમણને લીધે રેલવેની 57 એકર જેટલી જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે. આ ગેરકાયદે કબજા હેઠળની રેલવેની જમીન પર ભવિષ્યમાં મોટા પ્રોજેક્ટ્સ અને બાંધકામ કરવામાં આવવાનું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. મધ્ય રેલવેમાં અત્યાર સુધી કુર્લા, માનખુર્દ અને ટ્રોમ્બે લાઇનમાં અતિક્રમણ પર કાર્યવાહી કરી 13839 જેટલા બાંધકામ તોડવામાં આવ્યા છે અને 37.29 હેક્ટર જેટલી જમીન ફરી પોતાના તાબામાં લીધી છે તેમ જ પશ્ચિમ રેલવેમાં 10,572 જેટલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.
આ બાંધકામો મોટેભાગે બાન્દ્રા-ખાર વિસ્તારમાં કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે, એવું અહેવાલમાં જણાવ્યું હતું. મુંબઈ રેલવે પ્રશાસન દ્વારા અનેક બાંધકામો હટાવવામાં આવ્યા છે તેમ છતાં અનેક વખત આ કાર્યવાહીનો વિરોધ થતાં આ મામલો અદાલત સુધી પહોંચી જાય છે. બોમ્બે હાય કોર્ટે કોઈપણ કાર્યવાહી કરતાં પહેલા તે બાંધકામની માહિતી જમા કરવાનો રેલવે પ્રશાસનને આપવામાં આવ્યો છે.