આમચી મુંબઈ

પરમબીર સિંહ સામેનો ખંડણીનો કેસ સીબીઆઇએ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો

થાણે: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઇ)એ પુરતા પુરાવા ન હોવાનું કારણ આપીને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમશિનર પરમબીર સિંહ વિરુદ્ધ ચાલતો ખંડણી ઉઘરાવવાનો કેસ બંધ કરવાની અરજી કરી છે.

સીબીઆઇએ કોર્ટ સમક્ષ ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો છે. ૧૮ જાન્યુઆરીના રોજ થાણેના ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સમક્ષ કેન્દ્રીય એજન્સીએ કેસનો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં કોર્ટ આ રિપોર્ટની દખલ લે એવી શક્યતા છે. સીબીઆઇએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આ કેસમાં જણાવાયેલા તથ્યો અને સંજોગો આરોપીઓ ઉપર લગાવાયેલા આરોપોને પુરવાર નથી કરતા કે પછી તેમના વિરુદ્ધ કોઇ નક્કર પુરાવા નથી પૂરા પાડતા. જેના આધારે આરોપીઓ પર કેસ ચલાવી શકાય.

ક્લોઝર રિપોર્ટમાં વધુમાં જણાવાયા અનુસાર આ ઘટના ૨૦૧૬-૧૭માં બની હતી અને તેની નોંધ ૨૦૨૧માં કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન જે પુરાવા સત્યને ઉજાગર કરવા માટે મહત્ત્વના પુરવાર થઇ શક્યા હોત, તે ઉપલબ્ધ થઇ ન શક્યા. ઉલ્લેખનીય છે કે બિઝનેસમેન શરદ અગરવાલ દ્વારા ૨૦૨૧ના જુલાઇ મહિનામાં થાણેના કોપરી પોલીસ સ્ટેશનમાં સિંહ, અમુક રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને એક ભૂતપૂર્વ ડેપ્યુટી પોલીસ કમિશનરે પોતાની જમીન હસ્તગત કરવા માટે બે કરોડ રૂપિયાની ખંડણી માંગી તેમને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. પછીથી આ કેસ સીબીઆઇને સોંપી દેવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button