કર્ણાક બ્રિજનું બાંધકામ આખરે પૂરું…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મસ્જિદ બંદર વચ્ચે આવેલા અને પી. ડિ’મેલો રોડને જોડનારા મહત્ત્વના કનેકટર કર્ણાક બંદર બ્રિજનું બાંધકામ તેની નક્કી કરેલી ૧૦ જૂન, ૨૦૨૫ની ડેડલાઈનમાં પૂરું કરવામાં આવ્યું છે. હવે લેન માર્કિંગ, સ્ટ્રીટ લાઈટ અને પેન્ટિંગ જેવા નાના-મોટા બાકી રહેલા કામ આગામી ચારેક દિવસમાં પૂરા કરાશે. વીજેટીઆઈના નિષ્ણાતોની સલાહ અને ટ્રાફિક લોડનું સર્ટિફિકેટ મેળવ્યા બાદ ટ્રાફિક પોલીસની મંજૂરીની સાથે જ બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે એવી જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે.
દક્ષિણ મુંબઈના ૧૨૫ વર્ષ જૂના કર્ણાક બંદર બ્રિજને ૨૦૨૨ની સાલમાં તોડી પાડવામાં આવ્યો હતો. આ બ્રિજનું મુખ્ય બાંધકામ પૂરું થઈ ગયું છે. મંગળવારે પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેકટ) અભિજિત બાંગરે કર્ણાણ બ્રિજના કામનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે પુલનું મુખ્ય બાંધકામ વિક્રમી સમયમાં કરવામાં આવ્યું છે. બ્રિજના કામ માટે ૧૦ જૂન,૨૦૨૫ની ડેડલાઈન મુજબ પૂરું કરવામાં સફળતા મળી છે. હવે લેન માર્કિંગ, સ્ટ્રીટ લાઈટ અને પેન્ટિંગ, થર્મોપ્લાસ્ટ, કેટ આઈઝ જેવા નાના-મોટા કામ બાકી છે, જે આગામી ચારેક દિવસમાં એટલે કે ૧૪ જૂન સુધીમાં પૂરા કરી નાખવામાં આવશે.

બ્રિજની ભારક્ષમતા, સ્થિરતા અને સુરક્ષા તપાસવા માટે ૧૩ જૂન, ૨૦૨૫ના લોડ ટેસ્ટ કરવામાં આવશે અને તેનાં પરિણામ ૪૮ કલાક એટલે કે ૧૫ જૂન, ૨૦૨૫ના અપેક્ષિત છે. લોડ ટેસ્ટનું સર્ટિફિકેટ મળ્યા બાદ વીરમાતા જિજાબાઈ ટેક્નોલોજીકલ ઈન્સ્ટિટ્યુટના નિષ્ણાતોની સલાહ લઈને અને એ બાદ ટ્રાફિક પોલીસ સાથે સમન્વય સાધીને બ્રિજને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવશે.
દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મસ્જિદ બંદર અને મોહમ્મદ અલી રોડ પરિસરના ટ્રાફિક માટે કર્ણાક બ્રિજ મહત્ત્વનો છે. કર્ણાક બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી મધ્ય રેલવેએ તેને જોખમી જાહેર કયો હતો અને ઑગસ્ટ, ૨૦૨૨માં તેને તોડી પાડવામાં આવ્યો હતો. મસ્જિદ બંદર પરિસરમાં પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા આ બ્રિજનું કામ પાલિકાએ હાથ ધર્યું હતું. હાલ આર.સી.સી. ડેક સ્લેબ, ડામરીકરણ, પાલિકાની હદમાં પૂર્વ અને પશ્ર્ચિમ બાજુનો એપ્રોચ રોડ જેવા કામ પૂરા થઈ ગયા છે.
કર્ણાક બ્રિજની કુલ લંબાઈ ૩૨૮ મીટર છે, જેમાં રેલવે હદમાં ૭૦ મીટરની છે. પાલિકાની હદમાં આવતા એપ્રોચ રોડની લંબાઈ ૨૩૦ મીટર અને છે, જેમાં પશ્ર્ચિમમાં ૧૦૦ અને પૂર્વમાં ૧૩૦ મીટરની છે. રેલવે પાટા પર પુલને ઊભા કરવા માટે આરસીસી પીલરની ઊપર ૫૫૦ મેટ્રિક ટન વજનના ૭૦ મીટર લાંબા, ૨૬.૫૦ મીટર પહોળા અને ૧૦.૮ મીટર ઊંચાઈના બે ગર્ડર બેસાડવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત ૫૫૦ મેટ્રિક ટન વજનના દક્ષિણ બાજુએ લોખંડના ગર્ડર ૧૯ ઑક્ટોબર, ૨૦૨૪ના અને ઉત્તર બાજુએ લોખંડના ગર્ડર ૨૬ અને ૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રેલવે ભાગમાં ખસેડવામાં આવ્યા હતા. તે માટે સ્પેશિયલ બ્લોક લેવામાં આવ્યા હતા. ગર્ડર બેસાડવામાં આવ્યા બાદ બે ફેબ્રુઆરી , ૨૦૨૫થી પૂર્વમાં પાયાની ભરણીથી ડામર નાખવાના કામ ચાર મહિનામાં પૂરા કરવામાં આવ્યા છે. ટેક્નિકલી અત્યંત પડકારજનક અને જોખમી કામ હતું. આ પ્રોજેક્ટ માટે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
પૂર્વ અને પશ્ર્ચિમમાં આરસીસી ડેક સ્લેબનું કામ પણ પૂરું થઈ ગયું છે. રોડ પર કૉંક્રીટ, માસ્ટિક, નોઈઝ બેરિયર્સ જેવા કામ પણ પૂરા થઈ ગયા છે. રેલવેની હદમાં એન્ટી ક્રશ બેરિયર્સ બેસાડવામાં આવ્યા છે.વિક્રોલીના બ્રિજનું મુખ્ય કામ પહેલી જૂને પૂરું કરી નાખવામાં આવ્યું હતું પણ તેના હજી નાના-મોટા કામ ચાલી રહ્યા હોવાથી તેને ખુલ્લો મૂકવામાં હજી ત્રણથી ચાર દિવસ લાગશે એવું એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું.