માહિમ મેળો અચાનક બંધ કરવાનો આદેશ બોમ્બે હાઇ કોર્ટે રદ કર્યો

મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે માહિમ મેળાને બે દિવસ વહેલો બંધ કરવાના મુંબઈ પોલીસના આદેશને ફગાવી દીધો હતો. આ મેળાનું આયોજન દર વર્ષે ઉર્સ નિમિત્તે કરવામાં આવે છે અને આ વર્ષે તે 16 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ચાલશે.
મુંબઈ પોલીસે સોમવારે રાત્રે મેળાના આયોજકો અને વિક્રેતાઓને નોટિસ જારી કરીને જણાવ્યું હતું કે નાતાલના તહેવાર નિમિત્તે સેન્ટ માઈકલ ચર્ચમાં ભીડ અને ટ્રાફિક જામમાં વધારો થવાની સંભાવના છે, તેથી મેળાની મંજૂરી રદ કરવામાં આવે છે. આ નોટિસ સામે એક વિક્રેતા ઝાહિદ ખમીસાએ કોર્ટમાં અરજી કરી હતી.
ખમીસાના વકીલ પ્રસન્ના ભંગાલેએ કોર્ટને જણાવ્યું હતું કે માહિમ મેળાનું આયોજન ૧૯૦૧થી નિયમિત રીતે કરવામાં આવે છે. આ મેળો દાયકાઓથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો છે અને તેને અચાનક બંધ કરવા માટે કોઈ તાર્કિક કારણ નથી.
મુંબઈ પોલીસ વતી માહિમ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર વિનાયક વિનલ અને સરકારી વકીલ પ્રાજક્તા શિંદેએ દલીલ કરી હતી કે મેળાનું આયોજન રસ્તાની બાજુમાં કરવામાં આવ્યું હતું અને તેના કારણે ટ્રાફિક જામ થાય છે, જેના કારણે સ્થાનિક લોકોને પરેશાની થાય છે.
આ પણ વાંચો : બોમ્બે હાઈ કોર્ટે ગેંગસ્ટર છોટા રાજનને મોટી રાહત આપી, હત્યા કેસમાં આપ્યા જામીન
જો કે, ન્યાયમૂર્તિ શિવકુમાર ડીજે અને અદ્વૈત સેઠનાની ડિવિઝન બેન્ચે શોધી કાઢ્યું હતું કે મેળાને અગાઉ આપવામાં આવેલી પરવાનગીમાં એવી શરત હતી કે જો જનતા તરફથી કોઈ ફરિયાદ આવે તો પરવાનગી રદ્દ કરી શકાય છે. પરંતુ અચાનક મેળો બંધ કરી દેવાના પોલીસ આદેશમાં આવી કોઈ ફરિયાદનો ઉલ્લેખ કરાયો નથી.
કોર્ટે કહ્યું, ‘ટ્રાફિક જામનો ડર મેળો બંધ કરવા પાછળનું કારણ ન હોઈ શકે. ટ્રાફિક પ્રબંધન પોલીસની જવાબદારી છે, જે વધારાનો સ્ટાફ તૈનાત કરીને ઉકેલી શકાય છે. કોર્ટના આ નિર્ણય બાદ હવે માહિમનો મેળો તેના નિર્ધારિત સમય સુધી ચાલુ રહેશે.