
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓમાંથી એક પણ કર્મચારી તેની નોકરી ગુમાવશે નહીં અને કૉન્ટ્રેક્ટ પર રહેલા કર્મચારીઓને પણ કાયમી કરવામાં આવશે એ પ્રકારનું આશ્ર્વાસન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યા બાદ ૨૩ જુલાઈથી હડતાળ પર જવાનો મુંબઈ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ નિર્ણય પાછો ખેંચ્યો હતો.
મુંબઈમાં કચરો ભેગો કરીને તેને લઈ જવા માટે કૉન્ટ્રેક્ટરો પાસેથી વાહનો અને સેવા લેવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાના ઘનકચરા વિભાગે લીધો હોઈ તેની માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, તેની વિરુદ્ધમાં તમામ કર્મચારીઓના યુનિયને વિરોધ નોંધાવીને ૨૩ જુલાઈની હડતાળ પર ઉતરી જવાની ચીમકી યુનિયને આપી હતી.
આપણ વાંચો: તો મુંબઈના રસ્તા પર કચરો ઉપાડવાનું બંધ થશે
જોકે મુખ્ય પ્રધાને કર્મચારીઓના યુનિયને કોઈની નોકરી જશે નહીં એવું આશ્ર્વાસન આપ્યા બાદ સોમવારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણી સાથે મ્યુનિસિપલ કામગાર એક્શન કમિટી અને મનપા કામગાર સંઘર્ષ સમિતિના પદાધિકારીઓએ ચર્ચા કરી હતી.
આઝાદ મેદાન પર ૧૭ જુલાઈના મનપા કર્મચારીઓએ મોરચો કાઢીને હડતાળની જાહેરાત કર્યા બાદ તેની નોંધ મુખ્ય પ્રધાને લીધી હતી અને તેમણે મંત્રીમંડળના પ્રધાન ગિરીશ મહાજનને આઝાદ મેદાન પર યુનિયનના પદાધિકારીઓ સાથે ચર્ચા કરવા માટે મોકલ્યા હતા.
આપણ વાંચો: પહેલી જુલાઈથી કચરો ઉપાડવાનું સુધરાઈના કર્મચારીઓ બંધ કરશે!
ત્યારબાદ વિધાનભવનમાં મુખ્ય પ્રધાન સાથે ચર્ચા થયા બાદ કામગારોની જુદી જુદી માગણીઓ માટે સકારાત્મક પ્રતિસાદ મળ્યા બાદ સોમવારે પાલિકા કમિશનર સાથે તેમની બેઠક થઈ હતી. કમિશનરે આવતા અઠવાડિયે તેમની માગણીઓ સંદર્ભમાં કરાર કરવાનું આશ્ર્વાસન આપ્યું છે.