શાહના મહારાષ્ટ્ર પ્રવાસ પછી શું થશે ‘મોટો ખેલો’
ભાજપ-ઉદ્ધવ એકસાથે આવવાની અટકળો: ફડણવીસે આપ્યા સંકેત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં ‘ઠાકરે બ્રધર્સ’ એકસાથે આવવાની અટકળો બાદ એક નવી ચર્ચા સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) પાલિકાની ચૂંટણીમાં ફરીથી બંને સાથે આવી શકે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને પક્ષો વચ્ચે પડદા પાછળ પણ વાતચીત ચાલી રહી છે. જો આવું થાય, તો શિવસેનાના બે ભાગમાં વિભાજન થયા પછી તે મહારાષ્ટ્રના રાજકારણમાં બીજો સૌથી મોટો રાજકીય ‘ખેલો’ હશે. આ ચર્ચા એવા સમયે સામે આવી છે જ્યારે થોડા દિવસો પહેલા જ મનસેના વડા રાજ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના રાજકારણમાંથી પવાર અને ઠાકરે બ્રાન્ડને દૂર કરી શકાતી નથી.
પાલિકાની ચૂંટણીઓ પહેલા મિત્રતા!
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં પાલિકાની ચૂંટણીઓ પહેલાં ભાજપ અને શિવસેના (યુબીટી) વચ્ચેના સંબંધોને સરળ બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. આ માટે, રાષ્ટ્રવાદ અને હિન્દુત્વને એક મોટું માધ્યમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તાજેતરમાં ભાજપે વીર સાવરકર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત દરમિયાન સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓમાં મહારાષ્ટ્રને ભગવું બનાવવા અંગે ચર્ચા થઈ હતી. ભાજપ ગુજરાતની જેમ મહારાષ્ટ્ર પર પણ સંપૂર્ણ પ્રભુત્વ મેળવવા માગે છે, જ્યાં કોંગ્રેસ લાખ પ્રયાસો છતાં પુનરાગમન કરી શકતી નહીં. મુખ્ય પ્રધાન બન્યા પછી ઉદ્ધવ ઠાકરે દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. તે સમયે બંને 20 મિનિટ માટે સાથે હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો શિવસેના (યુબીટી) સાથે આવવા તૈયાર હોય તો ભાજપ તેના માટે જરૂરી વાતાવરણ બનાવવાની તૈયારી કરી શકે છે. ભાજપથી અલગ થયા પછી પણ, વીર સાવરકર પર શિવસેના (યુબીટી)નું વલણ અકબંધ રહ્યું છે.
આ પણ વાંચો: ‘મનસે અને દિલ સે’: શિવસેના (યુબીટી)એ પાલિકા ચૂંટણીઓ પહેલા રાજ ઠાકરે સાથે જોડાણ માટે ખુલ્લેઆમ સંકેત આપ્યો
ભૂતકાળને ભૂલી જવાના પ્રયાસો
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ભાજપે શિવસેના યુબીટીને સંકેત આપ્યો છે કે જો બંને પક્ષો ભૂતકાળને ભૂલીને સાથે આવે, તો રાજ્યમાં રાજકારણનો એક નવો અધ્યાય લખાઈ શકે છે. ભાજપે એવો પણ સંકેત આપ્યો છે કે જો શિવસેના યુબીટી એનડીએમાં પાછી આવે છે, તો તેને મહારાષ્ટ્ર સરકારમાં પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળી શકે છે. મુખ્ય પ્રધાનપદને લઈને બંને પક્ષોના રસ્તા અલગ થઈ ગયા હતા અને મહારાષ્ટ્રમાં પહેલીવાર ‘ખેલો’ જોવા મળ્યો હતો. કોંગ્રેસ અને એનસીપીના સમર્થનથી ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં બે પાર્ટીમાં ભંગાણ પાડીને ભાજપે પણ રમત કરી હતી, પરંતુ હવે પાછો નવો ખેલો થવાની તૈયારી જોવા મળી રહી છે.
પ્રિયંકા ચતુર્વેદીનો સમાવેશ
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ભાજપે ‘ઓપરેશન સિંદૂર’ના સર્વપક્ષી પ્રતિનિધિમંડળમાં શિવસેના (યુબીટી)ની સાંસદ પ્રિયંકા ચતુર્વેદીનો સમાવેશ કરીને પહેલો સંકેત આપ્યો હતો. શિવસેના (યુબીટી)એ અગાઉ આ ટીમમાં કોઈપણ સાંસદનો સમાવેશ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ અંતે પ્રિયંકા ચતુર્વેદીને ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે તેઓ વૈશ્ર્વિક મંચ પર ભારતની એકતા માટે સરકાર સાથે છે, પરંતુ પાર્ટી ઘરેલુ મંચ પર સર્વપક્ષી બેઠક બોલાવવાની માગણી કરતી રહેશે. નિષ્ણાતો કહે છે કે અગાઉ પણ ભાજપ-શિવસેના વચ્ચે કડવા-મીઠા સંબંધો રહ્યા છે, પરંતુ યુબીટી સાથેની મિત્રતામાં એકનાથ શિંદેનું ભાવિ શું થશે? આ સૌથી મોટો પ્રશ્ર્ન છે. ઉદ્ધવ ઠાકરે ભાજપમાં જોડાતા પહેલા શિંદેને દૂર કરવાની શરત મૂકી શકે છે, જોકે નિષ્ણાતો આવી કોઈપણ શક્યતાને નકારી રહ્યા છે.