ભાજપને I.N.D.I.A. ગઠબંધન જોરદાર ટક્કર આપી રહ્યું હોવાનો કોંગ્રેસના નેતાનો દાવો
![BJP to I.N.D.I.A. The Congress leader claims that the alliance is giving a strong fight](https://bombaysamachar.com/wp-content/uploads/2024/04/Yogesh-Dave-2024-04-18T162133.711.jpg)
મુંબઈ: લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે I.N.D.I.A. ગઠબંધનના વખાણ કરીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર નિશાન સાધ્યું છે. I.N.D.I.A. ગઠબંધન શક્તિશાળી બનીને આગળ આવી રહ્યું છે. I.N.D.I.A. ગઠબંધન ભાજપને ટક્કર આપી રહ્યું છે. રામ મંદિરનો મુદ્દો ભાજપ માટે રાજકીય મુદ્દો નહીં બનતા તેમની માટે ચૂંટણીમાં મુશ્કેલી નિર્માણ થઈ રહી છે, એવો દાવો પૃથ્વીરાજ ચવ્હાણે કર્યો હતો.
સાતારા જિલ્લામાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં કૉંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી (એમવીએ)માં (કૉંગ્રેસ, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે જૂથ) સાથે આવવાથી કૉંગ્રેસને બેઠકોની વહેંચણીમાં યોગ્ય ભાગ મળ્યો નથી પણ ભાજપ વોટનું વિભાજન ન થાય તે બાબત પર અમારું ધ્યાન છે.
I.N.D.I.A. ગઠબંધન ઘણી હદ સુધી સફળ બન્યું છે, જોકે તે એટલું શક્તિશાળી નથી જેટલું શરૂઆતમાં માનવામાં આવતું હતું. કેટલાક મહત્વપૂર્ણ પક્ષો I.N.D.I.A. ગઠબંધન સાથે નથી આવ્યા, પણ ગઠબંધન મોટા ભાગે સફળ રહ્યું છે. ભાજપ તેના મિત્ર પક્ષો સાથે મળીને લોકસભાની 543 બેઠકમાંથી 400 કરતાં વધુ બેઠક જીતવાની આશા રાખે છે.
લોકસભા ચૂંટણીના પરિણામ અંગે પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું કે ચોથી જૂને પરિણામ પછી દરેક લોકો ચોંકી જશે અને તેમાં પણ મહારાષ્ટ્રમાં એમવીએ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને સત્તારૂઢ મહાયુતિ સરકાર કરતાં વધારે સીટ જીતશે. વંચિત બહુજન આઘાડી અને એઆઇઆઇએમ જેવી નાની પાર્ટી જ ભાજપને મળતા મતોનું વિભાજન કરશે. રામ મંદિરનો મુદ્દો ભાજપ માટે ફિક્કો પડી જતાં તેઓ ચિંતિત છે. વધતી મોંઘવારી અને બેરોજગારીથી સામાન્ય નાગરિકો હેરાન છે.
પશ્ચિમ મહારાષ્ટ્રમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધારે છે. બેરોજગારીને કારણે ઘણી આર્થિક અસમાનતા નિર્માણ થઈ છે. શેરડી અને સોયાબીન ઉગાડતા ખેડૂતોના પાકને બજારોમાં ખૂબ જ ઓછો ભાવ મળી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2021માં ત્રણ કૃષિ કાયદાઓ જાહેર કર્યા હતા. જોકે એક વર્ષના આંદોલન બાદ આ કાયદાઓને રદ કરવા પડ્યા હોવાથી ભાજપ ખેડૂત વિરોધી નીતિઓ અપનાવી રહ્યું છે, એવો ચવ્હાણે આક્ષેપ કર્યો હતો.
લોકો ભાજપથી નારાજ છે. ભાજપે જે રીતે શિવસેના અને એનસીપીનું વિભાજન કરીને એમવીએ સરકારને જૂન 2022માં સત્તા પરથી હટાવી દીધી હતી. શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ કોંગ્રેસને પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે ભાજપનો તે પ્રયત્ન નિષ્ફળ ગયો છે. સાતારા બેઠક શરદ પવાર જૂથ પાસે છે અને તેના પ્રમુખ શરદ પવારે અનેક બાબતોને ધ્યાનમાં રાખીને સાતારાની સીટ પર શશિકાંત શિંદેને ઉમેદવાર બનાવ્યા છે.