હવે ભાજપના વિધાનસભ્ય પડળકરનો પ્રિસાઇડિંગ ઓફિસર અને પ્રધાન સાથે વિવાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભામાં એનસીપી (એસપી)ના સમર્થકો સાથે તેમના સમર્થકોની અથડામણના એક દિવસ પછી, શુક્રવારે ભાજપના વિધાનસભ્ય ગોપીચંદ પડળકરે મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રિસાઇડિંગ ઓફિસર અને એક પ્રધાન સાથે વિવાદ કર્યો હતો.
પડળકરે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અને વીજેએનટી સમુદાયોને અસર કરતી શિક્ષકોની સીધી ભરતી અંગે ધ્યાનાકર્ષક નોટિસ રજૂ કરી ત્યારે આ બોલાચાલી કરી હતી. પડળકર બોલી રહ્યા હતા ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર સમીર કુનાવરે તેમને એક સ્પષ્ટ પ્રશ્ર્ન રજૂ કરવા કહ્યું હતું.
આપણ વાંચો: ગોપીચંદ પડળકરની રેલીમાં લોરેન્સ બિશ્નોઈના ફોટા
આના પર, ભાજપના વિધાનસભ્યે એવી દલીલ કરી હતી કે આ મુદ્દાને એક સ્પષ્ટ પ્રશ્ર્ન દ્વારા કેવી રીતે સમજી શકાય.
‘મારી ધ્યાનાકર્ષક નોટિસ રદ કરો. મને કોઈ જવાબ જોઈતો નથી,’ એમ તેમણે ગુસ્સે થઈને કહ્યું હતું.
રાજ્યના શાળા શિક્ષણ પ્રધાન દાદાજી ભૂસેએ ભાજપના વિધાનસભ્યને સંબોધતા કહ્યું હતું કે, ‘આ મુદ્દો મહત્વપૂર્ણ હતો અને ધ્યાનાકર્ષક નોટિસ મગાવવામાં આવી ત્યારે તમે હાજર નહોતા. મેં અધ્યક્ષને તમારી હાજરીમાં તેને ફરીથી ઉઠાવવા કહ્યું હતું.’ પડળકરે અવાજ ઉઠાવ્યો ત્યારે તેમણે કહ્યું, ‘હું તમારી સાથે નમ્રતાથી વાત કરી રહ્યો છું.’