નાશિકના વિધાનસભ્ય બબનરાવ ઘોલપ ભાજપમાં જોડાય તેવી ચર્ચા
નાશિક: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીના દિગ્ગજ નેતાઓ એક પછી એક મહાયુતિમાં સામેલ થઇ રહ્યા છે એવામાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને વધુ એક ઝટકો લાગ્યો છે. પાંચ વખત વિધાનસભ્ય રહી ચૂકેલા નાશિકના વિધાનસભ્ય બબનરાવ ઘોલપે ગુરુવારે શિવસેનાની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપ્યું હતું. હવે તે ભાજપમાં જોડાઇ કેસરીયા કરી શકે તેવી ચર્ચા છે.
ઘોલપ પોતે ભવિષ્યમાં કયા પક્ષમાં જોડાશે તે વિશે હજી તેમણે સ્પષ્ટતા કરી નથી, પરંતુ તેમના પુત્ર યોગેશ અને નાશિકના અન્ય સ્થાનિક નેતાઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાશે, એવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.
નાશિકની દેવલાલી બેઠક પરથી પાંચ વખત વિધાનસભ્ય રહી ચૂકેલા બબનરાવ ઘોલપ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીમાં શિર્ડી બેઠક પરથી લડવા માગતા હોવાનું પણ કહેવાય છે.
પોતાના રાજીનામા વિેશે કહેતા ઘોલપે જણાવ્યું હતું કે તેમને પક્ષમાં રહેલી સમસ્યાઓ તેમ જ પોતાના અન્ય પ્રશ્ર્નો વિશે પાર્ટી નેતૃત્વને જણાવ્યું હતું અને પોતાની સમસ્યા વારંવાર તેમની સમક્ષ રજૂ કરવામાં આવી હોવા છતાં તેમને કોઇ પ્રતિસાદ મળતો નહોતો. આ પૂર્વે તેમને શિવસેના(ઉદ્ધવ ઠાકરે)માં નાયબ પ્રમુખ તરીકેના પદની માગણી પણ કરી હતી, જે અમાન્ય કરવામાં આવી
હતી. આ બધા કારણોસર તેમણે ઉદ્ધવની શિવસેનાના શિવસૈનિક તરીકે રાજીનામું આપ્યું હોવાનું કહેવાય છે.