બાન્દ્રા લિંક સ્કવેર મૉલ આગ: ફાયર સૅફટી સિસ્ટમમાં ખામી હતી, ફાયરબ્રિગેડ પણ ઘટના સ્થળે મોડી પહોંચી હતી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રા (પશ્ર્ચિમ)માં લિંક સ્કવેર મૉલમાં ૨૯ એપ્રિલ, ૨૦૨૫ના લાગેલી આગની તપાસમાં મૉલમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમમાં ગંભીર ખામીઓ હોવાનું જણાઈ આવ્યું છે. આ સિસ્ટમ ઓટોમેટિક હોવાને બદલે મેન્યુઅલ હતી અને તે પણ કામ કરતી ન હોવાનું જણાયું છે. તપાસ બાદ તેનો અહેવાલ સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીને સબમીટ કરવામાં આવ્યો છે, જેમાં લાઈસન્સ ફાયર સેફટી એજન્સીને જવાબદાર ગણીને તેની સામે આકરા પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે.
જોઈન્ટ મ્યુનિસિપલ કમિશનર ગંગાધરણના નેતૃત્વમાં તપાસ ટીમે બાવીક કલાક ચાલેલી આગ કેટલી ઝડપથી લાગીને ફેલાઈ તેનું નિરીક્ષણ કર્યું હતું.
બેઝમેન્ટમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ બાદ ફાયરબ્રિગેડને ઘટના સ્થળે પહોંચવામાં થયેલા વિલંબની પણ તપાસ પણ કરવામાં આવી છે. અહેવાલમાં જણાવાયું છે કે મૉલને ચારે તરફથી કાચની બંધ કરવામાં આવ્યો હતો, તેને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. તેમાં પાછું મોબાઈલ ફોન, બૂટ, ઈલેક્ટ્રોનિક સામાન, રેડીમેડ કપડા, કોસ્મેટિક, લાકડાનું ફર્નિચર, ઈલેક્ટ્રિક ઉપકરણો અને ઈલેક્ટ્રિક કેબલ સહિતના અત્યંત જ્વલનશીલ પદાર્થોની હાજરીથી આગ વધુ તીવ્ર બની હતી.
ઘટના દરમ્યાન મુખ્ય ફાયર સેફીટ સિસ્ટમ બિનકાર્યક્ષમ હોવાનું જણાયું હતું. ફાયર સપ્રેશન સિસ્ટમ, સ્પ્રીકલર વોટર સપ્લાય પણ કામ કરતા નહોતા. બેઝમેન્ટ વેન્ટિલેશન બંધ હતું. પૂર્વ-દક્ષિણ દિશાનો દરવાજો બંધ હતો, તેને કારણે ખાલી કરાવવામાં અવરોધ નિર્માણ થયો હતો. આગને કારણે તીવ્ર ગરમી અને કાળો ધુમાડો નીકળ્યો હતો અને મૉલ ચોતરફથી કાચનો હોવાથી તેમાં પડેલી તીરાડને કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવ્યા હતા.
રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે લિંક સ્કેવર મૉલ કૉ-ઓપરેટીવ દ્વારા મેસર્સ ઈન્ડિયન ફાયર સેફટી સિસ્ટમની નિમણૂક કરવામાં આવી હતી, જેણે આટ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ તમામ ફાયર સેફટી સિસ્ટમ કામ કરતી હોવાનો અહેવાલ આપ્યો હતો. ચોકે ચાર મહિનાની અંદર આગની ઘટના દર્શાવે છે કે સિસ્ટમ બિનકાર્યક્ષણ હતી, જે ઘોર બેદરકારી દર્શાવે છે. રિપોર્ટમાં તેના અહેવાલમાં એજન્સી સામે ખોટા સર્ટિફિકેટ આપવા માટે પગલા લેવાની પણ ભલામણ કરવામાં આવી છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ લાઈસન્સ પ્રાપ્ત ફાયર સેફટી એજન્સીઓને કાયદેસર રીતે ફાયર સેફટીના ઉપકરણોની કાર્યક્ષમતા ચકાસવી અને તેનો કમ્પલાઈન્સ અહેવાલ સબમીટર કરવો ફરજિયાત છે. તેનું પાલન કરવામાં નિષ્ફળ જનારાને દંડની સાથે જ છ મહિનાથી ત્રણ વર્ષ સુધીની જેલની સજા સહિત દંડ થઈ શકે છે.
પાલિકા કમિશનરે આ રિપોર્ટને મંજૂર કર્યો છે અને તેના તારણોને આધારેે આગળની કાર્યવાહી કરવાની સૂચના આપી છે. લિંક સ્કવેર મૉલના બેઝમેન્ટમાં ક્રોમાના શોરૂમમાં ૨૯ એપ્રિલના ચાર નંબરની આગ લાગી હતી, જેમા બે ટેરેસ રૅસ્ટોરન્ટની સાથે ૨૦૦થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.
આ પણ વાંચો…ચાર્જીંગવાળી વાનમાં લાગેલી આગ બે માળના મકાન સુધી પહોંચી, જીવ બચાવવા લોકોએ છલાંગ લગાવી…