આમચી મુંબઈ

સગીરા સાથે દુષ્કર્મના કેસનો આરોપી કલ્યાણ કોર્ટ બહારથી ફરાર

થાણે: સગીરા પર બળાત્કારના કેસમાં પકડાયેલો આરોપી કલ્યાણ કોર્ટ બહારથી પોલીસની કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો. કોન્સ્ટેબલ હાથકડી પહેરાવવા ગયો ત્યારે આરોપી તેને ધક્કો મારી નાસી ગયો હતો.

વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારની બપોરે બની હતી. આરોપી ચૈતન્ય શિંદે (21)ને કોર્ટમાં હાજર કર્યા પછી ફરી પોલીસ વૅન તરફ લઈ જવાયો હતો.

શિંદેને હાથકડી પહેરાવવામાં આવી રહી હતી ત્યારે બળજબરીથી હાથ છોડાવીને તે ભાગી ગયો હતો. પોલીસે થોડા અંતર સુધી તેનો પીછો પણ કર્યો હતો, પરંતુ કલ્યાણ રેલવે સ્ટેશન નજીકની પ્રવાસીઓની ભીડનો લાભ ઉઠાવી તે છૂ થયો હતો.

આ પણ વાંચો: ડોમ્બિવલીમાં દુષ્કર્મને કારણે સગીરા ગર્ભવતી બની: આરોપી સગાને 20 વર્ષની સખત કેદ

પોલીસે જણાવ્યું હતું કે અપહરણ, બળાત્કાર અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ શિંદેની ધરપકડ કરવામાં આવી હતી. કલ્યાણ કોર્ટે તેને 20 જૂન સુધીની અદાલતી કસ્ટડી ફટકારી હતી. કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવા તેને પોલીસ સ્ટેશન લઈ જવાના હતા.

પોલીસ કસ્ટડીમાંથી ભાગેલા શિંદે વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેની શોધ હાથ ધરી હતી. શિંદેને શોધી કાઢવા પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. એક ટીમ રાયગડના રોહા ખાતે તેના નિવાસસ્થાને પણ ગઈ હતી. તે કઈ દિશામાં ગયો હશે તેનો તાગ મેળવવા પોલીસ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button