Election Day: બીડમાં મતદાન વખતે અપક્ષના ઉમેદવારને આવ્યો હાર્ટ એટેક અને…

બીડઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ પણ રાજ્યમાં એક ચોંકાવનારો બનાવ બન્યો. ચૂંટણી લડી રહેલા અપક્ષના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત થવાથી લોકોમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.
આ પણ વાંચો : સટ્ટા બજાર પ્રમાણે મહારાષ્ટ્રમાં કોની બનશે સરકાર? જાણો…
મતદારસંઘના અપક્ષ ઉમેદવાર બાળાસાહેબ શિંદેનું મતદાનકેન્દ્ર પર મૃત્યુ થયું હોવાની કમનસીબ ઘટના આજે બપોરે બની હતી. બાળાસાહેબ શિંદેનું મૃત્યુ હાર્ટએટેકને કારણે થયું હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર છત્રપતિ શાહુ સ્કૂલના મતદાનકેન્દ્ર પર શિંદે ઊભા હતા. અચાનક તેમને ચક્કર આવ્યાં હતાં. તેમને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
કહેવાય છે કે તેમણે પહેલા પોતાની આસપાસના લોકોને હૃદમાં દુખાવા અંગે જણાવ્યું હતું તેમ જ તેમને પાણી પણ પીવડાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને ખુલ્લી જગ્યામાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે બેભાન થઈ ગયા.
અહીં એ જણાવવાનું કે બીડ વિધાનસભા સીટ મુખ્ય ટક્કર અજિત પવાર જૂથની એનસીપી અને શરદ પવાર જૂથની એનસીપી વચ્ચે છે. શરદ પવાર જૂથની એનસીપી (એસપી)માંથી સંદીપ ક્ષિરસાગરને ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે અજિત પવારના યોગેશ ક્ષિરસાગર છે. હાલમાં સંદીપ ક્ષિરસાગર વર્તમાન વિધાનસભ્ય છે.
પરલીમાં તોડફોડ વચ્ચે મતદાન અટકાવ્યું
દરમિયાન બીડ જિલ્લાના પરલી મતદારસંઘમાં મતદાનકેન્દ્રમાં તોડફોડ થતાં મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું. મહાવિકાસ આઘાડી (એમવીએ)એ મહાયુતિના કાર્યકરો આક્રમક બનતાં આ ઘટના બની હોવાનો આરોપ મૂક્યો હતો. જોકે મતદાનકેન્દ્રમાં તોડફોડ થવાનું ખરું કારણ જાણી નથી શકાયું. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાની 288 બેઠક માટે બુધવારે ચૂંટણી થઇ હતી.
મતદાનકેન્દ્રમાં તોડફોડ કરવામાં આવી હોવાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. મતદાનકેન્દ્રમાંનાં ઈવીએમ મશીનો, ટેબલો અને અન્ય સામગ્રીની તોડફોડ કરવામાં આવી હોવાનું અને તમામ વસ્તુ જમીન પર વિખેરાયેલી હાલતમાં પડી હોવાનું વીડિયોમાં દેખાઇ રહ્યું છે. આ ઘટના પાછળનું ખરું કારણ જાણી શકાયું નથી, પણ ઘટના બાદ મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Cash For Vote: પૈસાની વહેંચણી મુદ્દે વિનોદ તાવડેએ આજે આપ્યું મહત્ત્વનું નિવેદન
આ વિસ્તારમાંથી મહાયુતિના ઉમેદવાર સીટિંગ વિધાનસભ્ય ધનંજય મુંડે (એનસીપી-અજિત પવાર જૂથ)એ લોકોને કાયદો અને વ્યવસ્થાને હાથમાં ન લેવાની અપીલ કરી હતી. મુંડેનો સામનો એનસીપી (શરદ પવાર જૂથ)ના રાજેશ દેશમુખ સામે છે.