Badlapur Encounter: હાઈકોર્ટના ગંભીર સવાલો, પોલીસ અને સરકાર માટે કપરા ચઢાણ

મુંબઈ: મહારાષ્ટ્રના બહુચર્ચિત બદલાપુરમાં બે બાળકીના યૌન શોષણ કેસના આરોપી અક્ષય શિંદેના એન્કાઉન્ટર (Badlapur Encounter)પર બોમ્બે હાઈકોર્ટે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ તે એન્કાઉન્ટર જણાતું નથી. કોર્ટે કહ્યું કે આ સિવાય એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ ગોળી ચલાવવામાં આવી હતી અને એક જ ગોળી વાગી હતી તો બાકીની બે ગોળી ક્યાં છે ? ખંડપીઠે કહ્યું કે આ કેસમાં પિસ્તોલ પરના ફિંગર પ્રિન્ટની તપાસ કરવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આને એન્કાઉન્ટર ન ગણી શકાય.
પોલીસકર્મીઓ તેને કાબૂમાં રાખવામાં અસમર્થ છે
કોર્ટે કહ્યું કે સામાન્ય માણસ પોલીસ રિવોલ્વર લોડ કરી શકતો નથી. કેવી રીતે એક આરોપી પોલીસ વાનની અંદર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરે છે અને પોલીસકર્મીઓ તેને કાબૂમાં રાખવામાં અસમર્થ છે. આ સમજની બહાર છે અને તેના કારણે અનેક પ્રશ્નો ઉભા થાય છે.
ઉલ્લેખનીય છે કે, અક્ષય શિંદેના પરિવારે આ એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા હતા અને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરિવારે કહ્યું કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે અને હવે તેને એન્કાઉન્ટર તરીકે ગણવામાં આવી રહી છે. જ્યારે અક્ષયનો સામનો કરનાર ઇન્સ્પેક્ટર સંજય શિંદે એક અલગ જ નિવેદન આપી રહ્યા છે.
એન્કાઉન્ટર વિશે પોલીસ શું કહે છે?
સંજય શિંદેનું કહેવું છે કે પોલીસ વાનમાં લઈ જતી વખતે અક્ષય શિંદેએ પોલીસકર્મીની પિસ્તોલ છીનવી લીધી હતી. પિસ્તોલ બતાવીને તેણે કહ્યું કે તે કોઈને છોડશે નહીં. અક્ષયે પ્રથમ ગોળી છોડી હતી અને જવાબી કાર્યવાહીમાં તે માર્યો ગયો હતો. એટલું જ નહીં આ મામલે સંજય શિંદે દ્વારા મુંબઇ પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી છે. સંજય શિંદેએ તેને એન્કાઉન્ટર ગણાવ્યું હતું.
સોમવારે સાંજે પોલીસ અક્ષય શિંદેને તલોજા જેલમાંથી લઇને નીકળી હતી. તેની પત્ની દ્વારા દાખલ કરાયેલા કેસની તપાસ કરવા માટે જ અક્ષયને જેલની બહાર લાવવામાં આવ્યો હતો.
અક્ષયે પિસ્તોલ છીનવી લીધી અને અપશબ્દો બોલ્યા
પોલીસનું કહેવું છે કે આ દરમિયાન અક્ષય શિંદેએ વાનમાંથી પિસ્તોલ છીનવી લીધી અને ગોળીબાર કર્યો. પોલીસ ઈન્સ્પેક્ટર સંજય શિંદે ડ્રાઈવરની કેબિનમાં બેઠા હતા. જ્યારે અક્ષય શિંદે સાથે અન્ય બે પોલીસકર્મીઓ પાછળ બેઠા હતા. સંજય શિંદેનું કહેવું છે કે અક્ષયે પિસ્તોલ છીનવી લીધી હતી અને પોલીસકર્મીઓ સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો હતો. તે પોલીસ વાન રોકીને પાછળ ગયા અને જોયું કે અક્ષયના હાથમાં પિસ્તોલ હતી. આ દરમિયાન સ્વબચાવમાં એન્કાઉન્ટર થયું જેમાં અક્ષય શિંદે માર્યો ગયો. વિપક્ષ પણ આ મામલે સવાલો ઉઠાવી રહ્યો છે.
Also Read –