આમચી મુંબઈ

મને જાનથી મારી નાખવાનો પ્રયત્ન: જરાંગેનો આક્ષેપ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને મરાઠા સમાજને સરકારી નોકરી અને શિક્ષણમાં દસ ટકાનું અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં મરાઠા અનામત માટેના ચળવળકાર મનોજ જરાંગેનું આંદોલન પત્યું નથી. જોકે, રવિવારે જરાંગેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપર ગંભીર આરોપ લગાવીને ખળભળાટ મચાવ્યો હતો. પોતાને જાનથી મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું જણાવી જરાંગેએ ફડણવીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યો હતો. એવામાં હવે આ આંદોલન ખરેખર મરાઠા અનામત માટે શરૂ કરાયું છે કે પછી તેની પાછળ કોઇ છૂપો રાજકીય હેતુ છે તેવી ચર્ચા થઇ રહી છે અને ભાજપ દ્વારા પણ એવા જ આરોપ થઇ રહ્યા છે. અનામત આપવામાં આવ્યું હોવા છતાં આંદોલન પૂરું કેમ નથી થઇ રહ્યું અને શું આ આંદોલન પાછળ કોઇ ગેબી હાથ કામ કરી રહ્યો છે કે શું, તેવો આરોપ ભાજપ નેતાઓ દ્વારા મૂકવામાં આવી રહ્યો છે.

જરાંગેએ મહારાષ્ટ્રમાંથી મરાઠા સમાજને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે ફડણવીસ મને મારી નાંખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભૂખ હડતાળ ઉપર હતા ત્યારે તેમને મારી નાંખવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ કરતા જરાંગેએ કહ્યું હતું કે મારા સલાઇનમાં ઝેર ભેળવીને મને મારી નાંખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેના કારણે બે દિવસથી મેં સલાઇન ચઢાવવાનું પણ બંધ કરી દીધું હતું.

ફડણવીસના સાગર બંગલે જવા જરાંગે રવાના
જરાંગેએ પોતાને મારી નાંખવાનું કાવતરુું રચાયું હોવાનો આરોપ કરતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર એવા સાગર બંગલા ખાતે જવા રવાના થયા હતા. હું સાગર બંગલા ઉપર આવી રહ્યો છું, મારી બલિ ચઢાવી લેજો, એમ કહેતા જરાંગે મુંબઈ આવવા રવાના થયા હતા.

પવાર, ઠાકરેની સ્ક્રિપ્ટ કેમ વાંચે છે જરાંગે: ફડણવીસ
જરાંગેએ લગાવેલા ગંભીર આરોપો વિશે પ્રતિક્રિયા આપતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે જરાંગેના આરોપ પાયાવિહોણા છે અને તે ખોટું બોલી રહ્યા છે તે તેમને પણ ખબર છે. તેઓ પવાર અને ઠાકરેની સ્ક્રિપ્ટ કેમ વાંચી રહ્યા છે તે પ્રશ્ર્ન મને થાય છે. સાગર બંગલો સરકારી છે. કોઇપણ સરકારી કામ માટે આવી શકે છે, એમ ફડણવીસે કહ્યું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ આ કાવતરાંનો પર્દાફાશ થશે, એમ કહ્યું હતું. તેમણે નીચેના સ્તરના નિવેદનો સહન નહીં કરાય એવી ચીમકી પણ આપી હતી.

ફડણવીસના બંગલાને સુરક્ષિત કિલ્લામાં ફેરવાયો

જરાંગે ફડણવીસના સત્તાવાર બંગલા ‘સાગર’ જવા રવાના થયા ત્યારથી જ ફડણવીસના બંગલાની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ડીસીપી મોહિત કુમાર ગર્ગે પોતે સાગર બંગલાની મુલાકાત પણ લીધી હતી. સાંજે સહ્યાદ્રી બંગલા ખાતે મુખ્ય પ્રધાન શિંદે અને ફડણવીસ વચ્ચે મહત્ત્વની બેઠક પણ યોજાઇ હતી.

શરદ પવારના ઇશારે જરાંગેની ચાલ?: ભાજપ
વિરોધ પક્ષો દ્વારા પણ મનોજ જરાંગે ઉપર જોરદાર પ્રહારો કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્ર તેમ જ વિધાનસભ્ય નિતેશ રાણેએ જરાંગે ઉપર આરોપ મૂકતા કહ્યું હતું
કે જરાંગે જે આંદોલન કરી રહ્યા છે તેની પાછળ તેમનો હેતુ શું છે? તેઓ શેની માટે લડત ચલાવી રહ્યા છે તે સ્પષ્ટ નથી થઇ રહ્યું. જરાંગેએ અમારા નેતૃત્વ વિશે કોઇ ટિપ્પણી ન કરવી, એવી ચેતવણી રાણેએ ઉચ્ચારી હતી. જ્યારે ભૂતપૂર્વ વિધાનસભ્ય આશિષ દેશમુખે જરાંગેએ પોતાની જીદ છોડી દેવાનું કહ્યું હતું. બીજી બાજુ મુંબઈના વિધાનસભ્ય અતુલ ભાતખળકરે કહ્યું હતું કે જરાંગે શેની માટે આંદોલન કરી રહ્યા છે તે હવે સ્પષ્ટ થઇ ગયું છે. તેઓ શરદ પવારની ભાષા બોલી રહ્યા હોવાનું દેખાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અજય બારસકર અને સંગીતા વાનખેડે જેવા જરાંગેના એક સમયના સાથીદારોએ પણ શરદ પવાર આંદોલન માટે પૈસા પૂરા પાડતા હોવા જેવા ગંભીર આરોપ જરાંગે ઉપર મૂકી ચૂક્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?