પડઘામાં એટીએસની કાર્યવાહી: શસ્ત્રોસાથે વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા…
આતંકી સાકીબ નાચન સહિત સિમીના ભૂતપૂર્વ પદાધિકારીઓનાં ઠેકાણાં પર રેઈડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ રાજ્યમાં ભાંગફોડિયા પ્રવૃત્તિઓ પર નજર રાખનારી એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) રવિવારના મધરાત બાદ થાણે જિલ્લાના પડઘા-બોરીવલી ગામોમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદી પ્રવૃત્તિ સાથે કથિત રીતે સંકળાયેલા સાકીબ નાચન સહિત સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઑફ ઈન્ડિયા (સિમી)ના ભૂતપૂર્વ પદાધિકારીઓનાં ઠેકાણાઓ પર એટીએસે રેઇડ કરી શસ્ત્રો સાથે અનેક વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
એટીએસના અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું કે ભિવંડીના પડઘા ખાતે રહેતા સાકીબ અબ્દુલ હમીદ નાચન અને તેના સાથીઓએ આસપાસનાં ગામના લોકોને ભડકાઉ અને દ્વેષભાવપૂર્ણ ભાષણો કરીને દેશ વિરોધી પ્રવૃત્તિ માટે પ્રેરિત કર્યા હોવાની માહિતી મળી હતી. સિમીના ભૂતપૂર્વ કાર્યકર સાકીબ નાચનની અગાઉ બૉમ્બ બ્લાસ્ટ અને હત્યાના કેસોમાં ધરપકડ થઈ હતી. નાચનની હિલચાલ પર સતત નજર રાખવામાં આવતી હોવાનું સૂત્રોનું કહેવું છે.
સાકીબ નાચનના ભડકાવવાથી તેના કટ્ટર સમર્થકો રાષ્ટ્ર વિરોધી કાવતરું ઘડીને ભાંગફોડિયા પ્રવૃત્તિને અંજામ આપવાની શક્યતા હોવાની ગુપ્ત માહિતી એટીએસને મળી હતી. માહિતીને આધારે એટીએસના થાણે યુનિટે કોર્ટમાંથી પડઘા ખાતે રહેતા શકમંદોનાં ઘરમાં સર્ચ હાથ ધરવા સંબંધી વૉરન્ટ પ્રાપ્ત કર્યા હતા.
સર્ચ વૉરન્ટ મળતાં જ એટીએસે થાણે ગ્રામીણ પોલીસ સાથે રવિવારની મધરાત બાદ ત્રણ વાગ્યાથી અનેક ઠેકાણે ઑપરેશન હાથ ધર્યાં હતાં. સોમવારની બપોર સુધી ચાલેલા સર્ચ ઑપરેશન બાદ તલવાર, છરા જેવાં શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યાં હતાં. તે સિવાય આતંકવાદ અને લોકોને ભડકાવવા સંબંધી વાંધાજનક દસ્તાવેજો હાથ લાગ્યા હતા. આ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે, એમ એટીએસે જણાવ્યું હતું.