Assembly Monsoon Session: વિધાનભવનના પરિસરમાં પેડાં વહેંચાયા, જાણો કોણે કોને આપ્યા?
![Assembly Sessions Thackeray meets Chandrakant Patil](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/uddhav-chandrakant.webp)
મુંબઈઃ સામાન્ય રીતે વિધાનસભાનું અધિવેશન શરૂ થતા સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર આક્ષેપબાજી અને આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઇ જાય છે. જોકે વિધાન ભવનના પરિસરમાં ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતા પહેલા કંઈક અલગ જ ચિત્ર લોકોને જોવા મળ્યું હતું.
વિધાન પરિષદના વિરોધપક્ષના નેતા અંબાદાસ દાનવેની ઓફિસ વિધાનભવન કાર્યાલયમાં છે અને અહીં ઉદ્ધવ જૂથની શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે અને ભાજપના નેતા તેમ જ રાજ્યના સંસદીય ખાતાના પ્રધાન ચંદ્રકાંત પાટીલ એકબીજાને મળ્યા હતા. ચંદ્રકાંત પાટીલે દાનવેની ઓફિસમાં જઇને ઉદ્ધવ ઠાકરે તેમ જ તેમના જૂથના બધા જ વિધાનસભ્યોનું સ્વાગત પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે દાનવેની ઓફિસમાં ઠાકરે જૂથના લગભગ બધા જ વિધાનસભ્યો હાજર હતા. પાટીલે ફક્ત ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્યોનું સ્વાગત જ ન કર્યું, પરંતુ તેમને ચોકલેટ પણ આપી. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ પાટીલને પેંડા ખવડાવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ પાટીલને પેંડા આપતા વખતે આ પેંડા મહાવિકાસ આઘાડી (MVA)ને મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં 31 બેઠક મળી તે બદલ વહેંચી રહ્યો છું, એમ કહ્યું હતું.
પાટીલે પણ આ પેંડો વિધાનસભ્ય અનિલ પરબ તેમ જ અન્યોમાં વહેંચીને ખાધો હતો. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે અને ચંદ્રકાંત પાટીલે હળવાશની પળોમાં જોવા મળ્યો હતા અને એકબીજા સાથે વાતચીત અને હસી-મજાક કરી હતી.
ચંદ્રકાંત પાટીલ ત્યાંથી રવાના થઈ રહ્યા હતા ત્યારે ઉદ્ધવ ઠાકરેએ તેમને રોકી થોડો વધુ સમય ગપ્પા મારવા માટે રોક્યા પણ હતા. વિધાનસભાનું ચોમાસું સત્ર વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે ચકમક ઝરે તેવું થઇ રહેશે તેવી શક્યતા છે ત્યારે આ પ્રકારના દૃશ્યએ બધાને અચંબામાં પાડી દીધા હતા.
Also Read –