આમચી મુંબઈ

વૈષ્ણવી હગવણેના પરિવારજનોને ધમકી આપનાર નેપાળ સરહદ પરથી પકડાયો…

પુણે: પુણે પોલીસ અધિકારીએ શુક્રવારે એવી માહિતી આપી હતી કે વૈષ્ણવી હગવણેના માતાપિતા અને અન્ય લોકો પિંપરી-ચિંચવડમાં તેના ઘરે બાળકનો કબજો લેવા ગયા ત્યારે તેમને બંદૂક બતાવીને ધમકી આપવાના આરોપમાં એક વ્યક્તિની નેપાળ સરહદ પરથી ધરપકડ કરવામાં આવી છે.

વૈષ્ણવી હગવણે (26)એ 16મી મેના રોજ પુણેના બાવધન વિસ્તારમાં આત્મહત્યા કરી હતી, તેના સસરા અને અન્ય લોકોએ દહેજ માટે તેણી પર ત્રાસ ગુજાર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા બાદ તેના સસરા રાજેન્દ્ર હગવણેને એનસીપીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

વૈષ્ણવીના સસરા રાજેન્દ્ર હગવણે, પતિ શશાંક હગવણે, સાસુ લતા, ભાભી કરિશ્મા અને સાળા સુશીલની દહેજ ઉત્પીડન-આત્મહત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, વૈષ્ણવીના મૃત્યુ પછી તેનું નવ મહિનાનું બાળક નિલેશ ચવ્હાણ પાસે હતું, જે હગવણે પરિવારના નજીકના સભ્ય છે.

જ્યારે વૈષ્ણવીના માતા-પિતા અને અન્ય લોકો બાળકનો કબજો લેવા માટે તેના ઘરે ગયા, ત્યારે તેણે તેમને બંદૂક બતાવીને ધમકી આપી. તે સમયે બંદૂક બતાવવા બદલ વારજે પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. બાળકની યોગ્ય કાળજી ન લેવા બદલ તેની સામે બાવધન પોલીસ સ્ટેશનમાં કિશોર ન્યાય અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો,’ એમ અધિકારીએ જણાવ્યું હતું.

‘ત્યારથી તે ફરાર હતો. અમે હવે ચવ્હાણને નેપાળ સરહદથી પકડી લીધો છે. તે ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો. તેને પુણે પાછો લાવવામાં આવી રહ્યો છે,’ એમ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) વિશાલ હિરેએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button