Lok Sabha Session: ગાઝા પે બડી બડી બાતે કરતે હૈ, લેકિન બાંગ્લાદેશ કે હિંદુઓ કે લિએ ચુપ ક્યુંઃ અનુરાગ ઠાકુરે કોને કર્યો સવાલ?
![Anurag Thakur Slams Rahul Gandhi For Silence Over Attacks On Hindus In Bangladesh](https://bombaysamachar.com/wp-content/uploads/2024/08/gandhi-thakur.webp)
નવી દિલ્હીઃ ભાજપના સાંસદોએ આજે વિરોધ પક્ષોની ટીકા કરતા કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયોની સ્થિતિ પર તેમનું મૌન દુર્ભાગ્યપૂર્ણ છે. વાસ્તવમાં બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને સોમવારે ભારત આવ્યા પછી બાંગ્લાદેશમાં ઘણા હિન્દુ મંદિરો, ઘરો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
દરમિયાન લોકસભામાં શૂન્યકાળ દરમિયાન ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. ગાઝા પર તો બડી બડી બાતે કરતે હૈ, લેકિન બાંગ્લાદેશ કે હિંદુઓ કે લિએ કુછ કહા ક્યું નહીં.
તેમણે કહ્યું હતું કે વિપક્ષના નેતાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિશે કંઈ કહ્યું નથી. “જ્યારે બાંગ્લાદેશની વચગાળાની સરકારે કાર્યભાર સંભાળ્યો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન આપ્યા પરંતુ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પણ કહ્યું હતું.
ઠાકુરે કહ્યું હતું કે “તે દુર્ભાગ્યપૂર્ણ છે કે વિપક્ષના નેતાએ બાંગ્લાદેશની વચગાળાની સરકારને અભિનંદન આપ્યા પરંતુ હિંદુઓ અને લઘુમતીઓની સુરક્ષાનો ઉલ્લેખ કર્યો ન હતો. શું મજબૂરી હતી? તમે ગાઝા વિશે વાત કરો છો પરંતુ બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિશે કાંઇ બોલતા નથી. “
આ પણ વાંચો : લોકસભામાં કોંગ્રેસના ક્યા સાંસદો સારું ભાષણ આપે છે? રાહુલ ગાંધીએ રીપોર્ટ માંગ્યો
ઓડિશાના ઢેંકનાલના ભાજપના સાંસદ રુદ્ર નારાયણ પનીએ બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે ભારત સરકારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા દરમિયાનગીરી કરવી જોઈએ.
પનીએ કહ્યું હતું કે “બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર હુમલો કરવામાં આવ્યો છે અને જે તસવીરો સામે આવી છે તેમાં ભગવાન જગન્નાથની મૂર્તિ પર હુમલો કરવામાં આવ્યો છે. આ દુર્ભાગ્યપૂર્ણ, નિંદનીય અને પીડાદાયક છે…” તેમણે પૂછ્યું હતું કે , “હિંદુ મંદિરોને નુકસાન પહોંચાડવા પાછળ આ માનસિકતા શું છે? પનીએ કહ્યું કે આનાથી માત્ર ઓડિશાના લોકોને જ નહીં પરંતુ સમગ્ર ભારતના લોકોને દુઃખ થયું છે. તેમણે કહ્યું હતું કે , “ભારત સરકારે બાંગ્લાદેશ સાથે વાત કરવી જોઈએ જેથી ગુનેગારોને સજા મળી શકે.”
આસામના દરાંગ-ઉદલગુરીના ભાજપના સાંસદ દિલીપ સૈકિયાએ પણ બાંગ્લાદેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને સરકારને ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા મજબૂત કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે “ભારત ઇચ્છે છે કે બાંગ્લાદેશમાં શાંતિ ફરીથી સ્થાપવામાં આવે. ભારતની બાંગ્લાદેશ સાથે 4,096 કિલોમીટર લાંબી સરહદ છે. ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા એટલી જ મજબૂત હોવી જોઈએ જેટલી તે ભારત-પાકિસ્તાન સરહદ પર છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત સરકારે બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા સુનિશ્વિત કરવી જોઇએ