ધનંજય મુંડે સામેના આક્ષેપોની તપાસ માટે દમણિયાને એસીબીને સમક્ષ હાજર થવાનું ફરમાન…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી)એ એનસીપી નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન ધનંજય મુંડે સામેની ફરિયાદના સંદર્ભે સામાજિક કાર્યકર અંજલી દમણિયાને પૂછપરછ માટે બોલાવ્યા છે, એમ અધિકારીઓએ મંગળવારે માહિતી આપી હતી. સોમવારે દમણિયાને મહારાષ્ટ્ર એસીબી તરફથી એક પત્ર મળ્યો હતો જેમાં તેમને બે દિવસની અંદર ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીના અધિકારીઓ સમક્ષ હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
અગાઉની મહાયુતિ ગઠબંધન સરકાર દરમિયાન મુંડે કૃષિ વિભાગના પ્રધાન હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.
એસીબીના પત્રમાં મુંડે સામેની ફરિયાદ સંબંધિત દસ્તાવેજો સાથે દમણિયાને હાજર થવાનું કહેવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે દમણિયાએ મુંડે સામે લગાવેલા આરોપોની તપાસ એસીબીના અધિકારીઓ કરશે. જો દમણિયા બે દિવસમાં એસીબી સમક્ષ હાજર નહીં થાય, તો એવું માનવામાં આવશે કે તેઓ મુંડે વિરુદ્ધ દાખલ કરેલી ફરિયાદ વિશે કશું કહેવા માગતા નથી, જેમ કે ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીના પત્રમાં જણાવાયું છે.
દમણિયાએ સોમવારે મોડી રાત્રે તેમના એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં પત્ર શેર કર્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે તેઓ બુધવારે એસીબીની ઓફિસમાં પોતાનો કેસ રજૂ કરવા જશે. મને આજે મહારાષ્ટ્રના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો તરફથી એક પત્ર મળ્યો છે, જેમાં મને ધનંજય મુંડે વિરુદ્ધ દાખલ કરેલી ફરિયાદ અંગે માહિતી આપવા માટે બે દિવસની અંદર હાજર થવાનું કહેવામાં આવ્યું છે, એમ તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું. હું બુધવારે આ માહિતી આપવા માટે તેમનો સમય લઈશ, એમ તેમણે ઉમેર્યું.
આ વર્ષની શરૂઆતમાં દમણિયાએ મુંડેએ અગાઉની મહાયુતિ સરકાર (ભાજપ, શિવસેના અને એનસીપી સહિત)માં કૃષિ વિભાગનો હવાલો સંભાળ્યો હતો ત્યારે કૃષિ વિભાગમાં 88 કરોડ રૂપિયાના ‘કૌભાંડ’નો આરોપ લગાવ્યો હતો. કેન્દ્ર સરકારના 2016ના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવાના નિર્દેશ છતાં કૃષિ વિભાગે ખેડૂતોને વિતરણ કરવા માટે ઊંચા દરે સાધનો અને ખાતરો ખરીદ્યા હતા એવો દાવો તેમણે કર્યો હતો.
મુંડેએ દમાનિયાના આરોપોને ‘પાયાવિહોણા અને હાસ્યાસ્પદ’ ગણાવ્યા હતા.
આપણ વાંચો : કૃષિ મંત્રાલયના વડા હતા ત્યારે 300 કરોડનું કર્યું કૌભાંડઃ ભાજપના વિધાનસભ્યના નિશાન પર ધનંજય મુંડે આવ્યા