અંધેરી-ઘાટકોપર લિંક રોડ અને કેબલ સ્ટે આરઓબીને નિર્માણમાં અવરોધ બની રહેલા ૩૭ બાંધકામનો સફાયો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અંધેરી-ઘાટકોપર લિંક રોડ અને કેબલ સ્ટે આરઓબીને નિર્માણમાં અવરોધ બની રહેલા ૩૭ બાંધકામનો સફાયો

આગામી સમયમાં વધુ ૧૫૦ બાંધકામ હટાવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી-ઘાટકોપર લિંક રોડ (એજીએલઆર)ને પહોળો કરવા અને મહારાષ્ટ્ર રેલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ (એમઆરઆઈડીસી) દ્વારા ઘાટકોપર પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા કેબલ સ્ટે રેલ ઓવરબ્રિજના નિર્માણમાં અવરોધરૂપ બની રહેલા ૩૭ કમર્શિયલ બાંધકામને શુક્રવાર, ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના મુંબઈ મહાનગરપાલિકાના એન વોર્ડ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.

સુધરાઈ દ્વારા અંધેરી-ઘાટકોપર લિંક રોડનું ઘાટકોપર પરિસરમાં રસ્તો પહોળો કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તેમ જ આ વિસ્તારમાં એમઆરઆઈડીસી તરફથી પુલનું બાંધકામ પણ કરવામાં આવી રહ્યું છે. આ બંને ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટને લગભગ ૨૫૦ અસરગ્રસ્ત બાંધકામ, અતિક્રમણ અને વળતર માટે હકદાર એકમોને કારણે ખાસ્સો એવો અવરોધનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાએ તબક્કાવાર આ બાંધકામને હટાવવાનું શરૂ કર્યું છે, જેનાથી બાંધકામ આગળ વધવાનો માર્ગ મોકળો થયો છે. જોકે અતિક્રમણને કારણે થયેલા વિલંબને કારણે પ્રોજેક્ટની મૂળ ડેડલાઈન ૨૦૨૫ને બદલે હવે જૂન ૨૦૨૭ સુધી લંબાઈ ગઈ છે.

અંધેરીના ગોખલે બ્રિજની દુર્ઘટના બાદ સુધરાઈએ ઘાટકોપર આરઓબી સહિતના સમગ્ર મુંબઈના પુલોનું સ્ટ્રક્ચરલ ઓડિટ શરૂ કર્યું હતું, જેનું ઈન્સ્પેકશન ૨૦૧૮ની સાલમાં ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી-બોમ્બે (આઈઆઈટી) દ્વારા કરવામાં આવ્યું હતું. ઓડિટ દરમ્યાન જણાઈ આવ્યું હતું કે આ પુલ ઓવરલોડ હતો અને તેમાં મોટા સમારકામની આવશ્યકતા હતી. તેથી સુધરાઈ દ્વારા ભંડોળ પૂરું પાડીને પુલ નવેસરથી બાંધવા માટે મહારાષ્ટ્ર રેલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કૉર્પોરેશનને કામ સોંપવામાં આવ્યું હતું. આ પુલ અંધેરી-ઘાટકોપર લિંક રોડ પર એલબીએસ માર્ગ નજીક ગોલીબાર રોડ જંકશનથી શરૂ થાય છે અને ઘાટકોપર ખાતે એક મહત્ત્વના પૂર્વ-પશ્ર્ચિમ કનેકટર તરીકે સેવા આપતા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સુધી વિસ્તરે છે.

આ વિસ્તરમાં રસ્તા પરનો ટ્રાફિક અને ભીડ ઓછી કરવા માટે પાલિકાએ અંધેરી-ઘાટકોપર લિંક રોડને ૪૭.૫ મીટર સુધી પહોળો કરવાનું કામ હાથ ધર્યું છે. જોકે ૨૦૨૨માં વર્ક ઓર્ડર બહાર પાડવામાં આવ્યો હતો પણ કામ બહુ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. મુખ્યત્વે એપ્રોચ રોડ એલાઈનમેન્ટમાં અવરોધ ઊભા કરતા અતિક્રમણોને કારણે પુલ અને રોડને પહોળો કરવાના કામમાં ખાસ્સો એવો વિલંબ થયો હોવાનું એન વોર્ડના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે રસ્તાને પહોળા કરવાના કામ માટે અસરગ્રસ્ત બાંધકામને એક પછી એક સાફ કરવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે ૩૮ બાંધકામને અગાઉ નોટિસ આપ્યા બાદ હટાવવામાં આવ્યા હતા. લાયક દુકાનના માલિકોને પોલિસી મુજબ વળતર ચૂકવ્યા બાદ શુક્રવારે તોડી પાડવામાં આવ્યા હતા.

અધિકારીએ પ્રોજેક્ટ બાબતે વધુ માહિતી આપતા કહ્યું હતું કે આગામી તબક્કામાં પાલિકા દ્વારા આ રૂટ પરના લગભગ ૧૫૦થી વધુ બાંધકામોને દૂર કરવાની યોજના છે. આ પ્રક્રિયામાં સમય લાગી રહ્યો છે કારણકે અનેક રહેવાસીઓએ નાણાકીય વળતર લેવાનો ઈનકાર કરી દીધો છે. તેઓ આર્થિક વળતરને બદલે અહીં રહેઠાણ આપવાની માગ કરી રહ્યા હતા. હાલમાં જૂનો બ્રિજ બે પ્લસ બે લેનનો છે અને હાલ તેના પર ભારે વાહનો પર પ્રતિબંધ છે. નવો પુલ ૨૧૬ મીટર લાંબો અને ૧૧ મીટર પહોળો રહેશે અને બંને દિશામાં ત્રણ-ત્રણ લેન રહેશે.

આ પણ વાંચો…ઘાટકોપરમાં રસ્તો પહોળો કરવાને આડે આવતા બાંધકામનો સફાયો

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button