ભાજપ પોતાના ખર્ચે કાર્યાલય બનાવે છે, બીજાની જેમ જમીન પડાવી નથી લેતા; ફડણવીસનો વિપક્ષને ટોણો...
આમચી મુંબઈ

ભાજપ પોતાના ખર્ચે કાર્યાલય બનાવે છે, બીજાની જેમ જમીન પડાવી નથી લેતા; ફડણવીસનો વિપક્ષને ટોણો…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે (૨૭ ઓક્ટોબર) મુંબઈની મુલાકાતે છે. તેમણે દક્ષિણ મુંબઈમાં મહારાષ્ટ્ર ભાજપના નવા કાર્યાલયનો શિલાન્યાસ કર્યો. દરમિયાન, શિવસેના (ઉબાઠા) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) ના નેતાઓએ આ નવી ઇમારત માટેની જમીન પર અલગ અલગ દાવા કર્યા છે. ત્યારે,રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષો દ્વારા કરવામાં આવેલી ટીકાનો જવાબ આપ્યો છે.

ભૂમિપૂજન પછીના પોતાના ભાષણમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “બધાની ઈચ્છા હતી કે મુંબઈ પ્રદેશને સારું કાર્યાલય મળે. અમે તેના માટે જગ્યા શોધી રહ્યા હતા. અમે સરકારી જગ્યાને બદલે સસ્તી, ખાનગી જગ્યા શોધી રહ્યા હતા. મનોજ કોટકને આ જગ્યા મળી ગઈ. આ જગ્યામાં ઘણી મુશ્કેલીઓ હતી. અમે એક પછી એક દરેક મુશ્કેલીઓ દૂર કરી આ જગ્યા મેળવી.

પરંતુ કેટલાક લોકોએ તેના પર પણ સવાલ ઉઠાવ્યો છે, હું તેમને કહું છું કે ભારતીય જનતા પાર્ટી કાચના ઘરમાં રહેતી નથી. “અમારા પર પથ્થર ફેંકવાનો પ્રયાસ ન કરો,” દેવેન્દ્ર ફડણવીસે ચેતવણી આપી. ફડણવીસે એમ પણ કહ્યું છે કે તેઓ પહેલા દિવસથી જ જાણતા હતા કે વિપક્ષ વિવાદ ઉભો કરશે. ભાજપે પૈસા ખર્ચીને આ જગ્યા ખરીદી છે. જે લોકો જગ્યા પડાવી લેવા ટેવાયેલા છે તેમણે અમને પ્રશ્નો પૂછવા જોઈએ નહીં.

રોહિત પવારે શું કહ્યું ?
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) ના નેતા રોહિત પવારે આ જગ્યાના મુદ્દે એક પોસ્ટ કરી છે. તેમણે કહ્યું કે, “એવી માહિતી બહાર આવી રહી છે કે મુંબઈમાં આજે જ્યાં ભાજપ કાર્યાલયનું ભૂમિપૂજન થઈ રહ્યું છે તે સ્થળ લીઝ લેન્ડ, શેડ્યૂલ ડબલ્યુ લેન્ડ છે, અને લીઝ રિન્યુ કરવામાં આવી નથી. શું લીઝ રિન્યુઅલ ન થયું હોય એવી લીઝ લેન્ડ, શેડ્યૂલ ડબલ્યુ ધરાવતી જમીન વેચી શકાય? શું બીએમસી કમિશનર આ અંગે સ્પષ્ટતા કરશે? આ મામલો ગંભીર છે અને કમિશનરે સ્પષ્ટતા કરવાની જરૂર છે. જો કમિશનર સ્પષ્ટતા નહીં કરે, તો અમે કાલે કમિશનરને મળીશું અને આ બાબતની ફાઇલ બતાવવાની માંગ કરીશું.”

સંજય રાઉતે શું કહ્યું?
સંજય રાઉતે આ અંગે અમિત શાહને પત્ર લખ્યો હતો. મીડિયાના પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું, “મરીન લાઇન્સમાં શિલાન્યાસ થયો હોવા છતાં, મરાઠી ભાષા ભવનનું કામ અટકેલું છે. કોઈ તેના પર ધ્યાન આપી રહ્યું નથી. જોકે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી મુંબઈ આવી રહ્યા છે અને ભાજપના ભવ્ય કાર્યાલયનો શિલાન્યાસ કરી રહ્યા છે. મરાઠવાડાના ખેડૂતોની ફાઈલ આગળ વધતી નથી,તેમને દિવાળી પછી પણ, કોઈ સહાય મળી નથી. જોકે, ભાજપના ફાઇવ સ્ટાર હેડક્વાર્ટરની ફાઇલ રાફેલની ગતિએ આગળ વધી. આ બધું આટલી ઝડપથી કેવી રીતે બન્યું તેનું રહસ્ય જમીન નીચે દટાઈ ગયું છે. જમીન ખોદાશે ત્યારે આ રહસ્ય બહાર આવશે.”

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button