મહાયુતિ વચ્ચેના વિવાદ વચ્ચે અજિત પવારે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સંસ્થાના ઓડિટનો આદેશ આપ્યો
મહારાષ્ટ્ર કેબિનેટે શક્તિપીઠ એક્સપ્રેસવે પ્રોજેક્ટ માટે 20,787 કરોડની લોનને મંજૂરી આપી છે. નાણા વિભાગે કહ્યું કે આનાથી રાજ્ય પર બોજ પડશે

વિપુલ વૈદ્ય
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળના મહારાષ્ટ્ર આયોજન વિભાગે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી)નું સ્વતંત્ર રીતે ઓડિટ કરાવવાની માગણી કરી છે, જેનાથી રાજ્યની મહાયુતિ સરકારમાં ચાલી રહેલા સત્તાના સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત થયું છે.
આ પગલાના કેન્દ્રમાં 86,358 કરોડ રૂપિયાનો શક્તિપીઠ એક્સપ્રેસવે છે – 802 કિમીનો નાગપુર-ગોવા કોરિડોર જે ભારતના સૌથી મોંઘા રોડ પ્રોજેક્ટ્સમાંનો એક માનવામાં આવે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં મહારાષ્ટ્ર કેબિનેટે પ્રોજેક્ટના જમીન સંપાદન માટે 20,787 કરોડ રૂપિયાની લોન ગેરંટીને મંજૂરી આપી હતી.
આ પણ વાંચો: અજિત પવારના ખાતાઓ પર નજર રાખો, તેમની પાસે 14,000 કરોડ રૂપિયાના બે ભંડોળ છે, એકનાથ શિંદેનો શિવસેનાના ધારાસભ્યોને આદેશ
આ પહેલા, ભારતના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (સીએજી) એ પણ એમએસઆરડીસીની નાણાકીય અને કાર્યકારી પદ્ધતિઓમાં સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું છે. અગાઉ, એમએસઆરડીસીના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર રાધેશામ મોપલવાર પર કરોડોની બિનહિસાબી સંપત્તિ એકઠી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
હવે પવાર અને શિંદે વચ્ચે નવો ઝઘડો જોવા મળી રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ એકનાથ શિંદેએ પોતાની પાર્ટીના પ્રધાનોને અજિત પવારના ખાતાઓ માટે ફાળવવામાં આવેલા નાણાંના ખર્ચનો હિસાબ રાખવા જણાવ્યું હતું. કેમ કે શિંદેના પ્રધાનો ભંડોળની ફાળવણીમાં અજિત પવાર દ્વારા પરેશાની કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો હતો અને હવે અજિત પવારે એકનાથ શિંદેની અધ્યક્ષતાવાળી એમએસઆરડીસીનું ઓડિટ કરવાનો આદેશ આપીને મોટો ફટકો માર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ પણ વાંચો: મસ્જિદોમાં લાઉડસ્પીકર બાબતે મુસ્લિમ નેતાઓ અજિત પવારને મળ્યા
જોકે, પવારના નેતૃત્વ હેઠળના નાણા વિભાગે શક્તિપીઠ એક્સપ્રેસવે માટે હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (હુડકો)ને લોન પર 8.85 ટકા વ્યાજ દર આપવાના નિર્ણયને નાણાકીય રીતે અવ્યવહારુ ગણાવ્યો છે. તેમણે એવી દલીલ કરી છે કે રાજ્યના પોતાના બોન્ડ 6.75 ટકાના નોંધપાત્ર નીચા દરે વ્યાજ મેળવે છે.
નાણા વિભાગે કહ્યું છે કે આ લોનથી રોકડની તંગીવાળા રાજ્ય પર આ પ્રોજેક્ટથી બોજ પડશે. મંજૂરી પહેલાં એક કેબિનેટની નોંધમાં પણ વિભાગે ચેતવણી આપી હતી કે બજેટની બહાર ઉધાર લેવાથી ભવિષ્યમાં મહારાષ્ટ્રની લોન લેવાની ક્ષમતા પર અસર પડશે.
રાજ્ય પહેલેથી જ દેવાના બોજ હેઠળ દબાયેલું છે. એક અંદાજ મુજબ, માર્ચ 2026 સુધીમાં મહારાષ્ટ્રની બાકી લોન 9.32 લાખ કરોડને સ્પર્શવાનો અંદાજ છે, જેમાં 1.54 લાખ કરોડ ફક્ત ચુકવણી માટે રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની શાળાઓમાં ધોરણ પહેલાથી નહીં, પાંચમાથી હિન્દી શીખવવી જોઈએ: અજિત પવાર
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પ્રિય પ્રોજેક્ટ શક્તિપીઠ એક્સપ્રેસ-વે માટે હુડકો પાસેથી ઉધાર લેવાના નિર્ણયથી રાજકોષીય ખાધ 4.08 ટકા સુધી વધવાની અને જીએસડીપીની સાથે દેવાનો ગુણોત્તર 25 ટકા સુધી વધવાની અપેક્ષા છે. તેને કારણે મહેસૂલ ખર્ચ અને જાહેર કલ્યાણ યોજનાઓમાં સંભવિત ઘટાડા અંગે ચિંતાઓ ઉભી થઈ છે.
આ સમયે, આયોજન વિભાગ દ્વારા એમએસઆરડીસીના નાણાકીય ખર્ચની સમીક્ષા કરવાની માગણી કરવામાં આવી રહી છે જેનાથી તણાવમાં વધારો થયો છે. એજન્સી શક્તિપીઠ એક્સપ્રેસ-વે, પુણે રિંગ રોડ અને નાંદેડ-જાલના હાઇવે સહિતના મુખ્ય પ્રોજેક્ટ્સનું કામ કરી રહી છે.
આ ઉપરાંત, આયોજન વિભાગે રાજ્ય દ્વારા સમર્થિત એમએસઆરડીસીની 24,190 કરોડની હાલની લોન ગેરંટીને રોક લગાવી છે, જેમાં ચુકવણી માટે બજેટની જોગવાઈઓ પણ છે.