સ્થાપના દિને અજિત પવારની એનસીપીએ પુન:મિલનની ચર્ચાને ફગાવી દીધી, સુળેએ મુદ્દો ટાળ્યો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીના 26મા સ્થાપના દિવસની ઉજવણી કરતી વખતે અજિત પવારના નેતૃત્વ હેઠળના એનસીપીએ મંગળવારે કહ્યું હતું કે હરીફ જૂથ સાથે પુન:મિલનનો કોઈ પ્રસ્તાવ નથી, જ્યારે એનસીપી (એસપી)ના સાંસદ સુપ્રિયા સુળેએ પણ આ મુદ્દા પર તાજેતરની ઘણી ચર્ચાઓ છતાં કોઈ નિવેદન આપવાનું ટાળ્યું હતું.
શરદ પવાર દ્વારા 26 વર્ષ પહેલાં સહ-સ્થાપિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 2023માં વિભાજીત થઈ ગઈ હતી. બંને જૂથોએ પુણેમાં અલગ અલગ કાર્યક્રમો યોજીને સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. રાજ્ય એનસીપીના વડા સુનિલ તટકરેએ કહ્યું કે એનડીએમાં જોડાવાનો નિર્ણય ‘લોકોના કલ્યાણ માટે’ સામુહિક રીતે લેવાયેલો હતો અને અજિત પવારનો નિર્ણય નહોતો.
‘…આ કોઈ વ્યક્તિગત નિર્ણય નહોતો. અજિત પવારના નેતૃત્વમાં એનડીએમાં જોડાવાનો નિર્ણય સામૂહિક હતો. મેં વારંવાર સ્પષ્ટતા કરી છે કે 2014થી એવા ઘણા પ્રસંગો આવ્યા છે જ્યારે (ભાજપના નેતૃત્વ હેઠળના) ગઠબંધનમાં જોડાવાનો નિર્ણય (તે સમયે અવિભાજિત) પક્ષ દ્વારા લેવામાં આવ્યો હતો. અમે એનડીએમાં જોડાવાની લગભગ નજીક હતા, પરંતુ છેલ્લી ઘડીએ નિર્ણય બદલી નાખવામાં આવ્યો,’ એમ તેમણે કહ્યું હતું.
2023માં અજિત પવારના નેતૃત્વમાં પાર્ટીએ લોકોના કલ્યાણ માટે શાસક ગઠબંધનમાં જોડાવાનો નિર્ણય લીધો હતો, એમ તેમણે ઉમેર્યું હતું. ‘અમે અમારી ધર્મનિરપેક્ષ વિચારધારા અને છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા ફુલે, ડો. બાબાસાહેબ આંબેડકર અને શાહુ મહારાજની વિચારધારા સાથે સમાધાન કર્યા વિના એનડીએમાં જોડાયા હતા,’ એમ તટકરેએ કહ્યું હતું.
બે જૂથો એકસાથે આવી શકે છે તેવી અટકળો વિશે પૂછવામાં આવતા તટકરેએ કહ્યું હતું કે ‘આવો કોઈ પ્રસ્તાવ નથી.’
અજિત પવારે પોતે એનસીપી (એસપી) સાથે ફરી જોડાણની શક્યતા વિશે કોઈ ચોક્કસ નિવેદન આપ્યું નથી, ફક્ત એટલું જ કહ્યું છે કે આવા નિર્ણયો ટોચના નેતૃત્વ દ્વારા લેવામાં આવે છે, પક્ષના કાર્યકરો કે જુનિયર નેતાઓ દ્વારા નહીં.
તેમણે ભાજપ સાથે હાથ મિલાવવા અને રાજ્ય સરકારનો ભાગ બનવાના પોતાના નિર્ણયને પણ યોગ્ય ઠેરવતા કહ્યું કે ‘અમે કોઈ સંત નથી’ જે વિરોધમાં રહીને અને વિરોધ કરીને સંતોષ માને. તેમનો પક્ષ લોકો માટે કામ કરવા માગતો હતો, એમ તેમણે ઉમેર્યું હતું. પુણેમાં અન્યત્ર એનસીપી (એસપી)ના સ્થાપના દિવસના કાર્યક્રમમાં, પક્ષના સાંસદ સુપ્રિયા સુળેએ પુન: જોડાણ વિશેના પ્રશ્ર્વનો સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું.
એનસીપી (એસપી)નો એક વર્ગ અજિત પવારની પાર્ટી સાથે ફરી જોડાણ કરવા માગે છે અને તેમના પિતા શરદ પવાર કહે છે કે પક્ષ સંબંધિત તમામ નિર્ણયો તેઓ લેશે તે અંગે પૂછવામાં આવતા, સુળેએ કહ્યું હતું કે, ‘મારી પાસે છેલ્લા 15 દિવસથી પક્ષના નેતાઓ સાથે પાર્ટી બાબતોની ચર્ચા કરવાનો અથવા મારા પરિવારને મળવાનો સમય મળ્યો નથી.’ સુળેએ તાજેતરમાં એક બહુ-પક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું અને ઓપરેશન સિંદૂર પછી ભારતનું વલણ જણાવવા માટે કેટલાક વિદેશી દેશોમાં પ્રવાસ કર્યો હતો.
‘કેટલાક લોકો બીજી વિચારધારાઓ સાથે ગયા અને આ ભાગલા વધુ વ્યાપક બન્યા. હું આજે તેના વિશે વાત કરવા માગતો નથી, પરંતુ જે લોકો પક્ષ પ્રત્યે વફાદાર રહ્યા, તે આપણા પક્ષની વિચારધારાને કારણે હતા,’ એમ શરદ પવારે તેમના પક્ષના કાર્યક્રમમાં કહ્યું. ‘કોણ ગયું છે અથવા કોણ જોડાયું છે તેના પર ધ્યાન કેન્દ્રિત ન કરો. જો આપણે એકતામાં રહીશું અને સામાન્ય લોકો પ્રત્યે પ્રતિબદ્ધ રહીશું, તો આપણને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં,’