એર ઇન્ડિયાના પાયલટની આત્મહત્યા: આરોપી બોયફ્રેન્ડને મળ્યા જામીન

મુંબઈ: ગયા મહિને કથિત રીતે આત્મહત્યા કરનાર એર ઈન્ડિયાના પાયલટના બોયફ્રેન્ડ આદિત્ય પંડિતને મુંબઈની અદાલતે આજે જામીન આપી દીધા છે. અંધેરીના મરોલ વિસ્તારમાં ‘કાણકિયા રેઇન ફોરેસ્ટ’ બિલ્ડિંગમાં ભાડાના ફ્લેટમાં રહેતી પાયલટ સૃષ્ટિ તુલી (25) 25 નવેમ્બરની વહેલી સવારે મૃત હાલતમાં મળી આવી હતી. આ દુર્ઘટનાના એક દિવસ પછી પોલીસે તેના બોયફ્રેન્ડ આદિત્ય પંડિત (27)ની ધરપકડ કરી તેના પર ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) કલમ 108 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો. જોકે, આરોપીની જામીન અરજીને એડિશનલ સેશન્સ જજ (ડિંડોશી કોર્ટ) ટી ટી અગલાવેએ મંજૂરી આપી હતી. વિગતવાર આદેશ હજી સુધી ઉપલબ્ધ નથી થયો. તુલીના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી અને તેની પુત્રી આત્મહત્યા પહેલા પાંચ-છ દિવસથી એક જ રૂમમાં રહેતા હતા. જોકે ઘટનાના દિવસે આરોપી દિલ્હી જવા રવાના થયો હતો.
Also read: એર ઇન્ડિયા, એરઇન્ડિયા એક્સપ્રેસ અને વિસ્તારાએ કરી રતન ટાટાની યાદમાં જાહેરાત
ફરિયાદ અનુસાર આરોપી અને સૃષ્ટિ તુલીના આહારની અલગ અલગ હોવાથી એ બાબતે તેમની વચ્ચે વિવાદ થતો હતો. તુલી માંસાહારી હતી જ્યારે આરોપી શાકાહારી છે. પંડિતે તુલી પર સતત દબાણ કર્યું હતું કે તે તેની ખાવાની ટેવો બદલી નાખે, જેના કારણે સૃષ્ટિએ આત્મહત્યા કરી લીધી હશે એવો આક્ષેપ ફરિયાદીએ કર્યો હતો. પંડિતના વકીલ અનિકેત નિકમે એવી દલીલ કરી હતી કે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ બનતો નથી. ન તો અગાઉ કોઈ ફરિયાદ હતી કે ન તો કોઈ સ્યુસાઇડ નોટ હતી, અને તેથી એવું કહી શકાય નહીં કે અરજદારે આત્મહત્યા માટે ઉશ્કેરણી કરી હતી. (PTI)