મુમ્બ્રા દુર્ઘટના પછી ‘ઓટોમેટિક ડોરવાળી ટ્રેન’ દોડાવવાનો નિર્ણય, ક્યારે શરૂ થશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો મળતો નથી, તેમાંય મુંબઈની ‘લાઈફલાઈન’ લોકલ ટ્રેનમાં ખાસ કરીને પીકઅવર્સમાં પ્રવાસીઓને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે એ વાત મધ્ય રેલવેમાં પુરવાર થઈ છે. મુમ્બ્રા રેલવે સ્ટેશન નજીક ચાલતી લોકલ ટ્રેનમાંથી પડતા તેર જેટલા પ્રવાસી પડવાનો ચોંકાવનારો બન્યા હતો, જેનાથી પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ફરી ગંભીર સવાલો ઊભા થયા હતા. પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે વિપક્ષોની સાથે રેલવે પ્રવાસી સંગઠનોએ ઝાટકણી કાઢી હતી, જ્યારે રેલવેએ પણ પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે આગામી વર્ષોમાં ઓટોમેટિક ક્લોઝડોરવાળી લોકલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી હતી. રેલવે ટ્રેક ક્રોસ કરવાનું હોય કે ચાલતી ટ્રેનમાં ઉતરવા-ચઢવાની વાત પણ જીવના જોખમે મુસાફરી કરવાનું પ્રવાસીઓ માટે જોખમી છે એ વાતમાં ના નહીં, એમ અધિકારીએ દાવો કર્યો હતો.
કેટલા વાગ્યે અને કઈ રીતે બન્યો બનાવ?
મધ્ય રેલવેના મુમ્બ્રા સ્ટેશન નજીક સવારના 9.20 વાગ્યાના સુમારે બન્યો હતો. કસારાથી સીએસએમટી જનારી લોકલ ટ્રેન (અપ ફાસ્ટ)ના ફૂટબોર્ડ પર લટકીને મુસાફરી કરી રહેલા પ્રવાસીઓ ભોગ બન્યા હતા, જ્યારે બીજી સીએસએમટીથી કર્જત જનારી લોકલ ટ્રેન (ડાઉન ફાસ્ટ)ના પ્રવાસી ભોગ બન્યા હતા. આ બંને ટ્રેન જ્યારે મુમ્બ્રા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ફૂટબોર્ડ પર પ્રવાસ કરી રહેલા અમુક પ્રવાસીઓ ચાલતી ટ્રેનમાંથી ટ્રેક પડ્યા હતા. અકસ્માત પછી કલવા અને થાણેની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, અકસ્માત પછી અપ એન્ડ ડાઉન લાઈનની લોકલ ટ્રેનસેવા પ્રભાવિત થઈ હતી. પ્રાથમિક માહિતી પૂરી પાડતા અધિકારીએ કહ્યું હતું કે કસારાથી સીએસએમટી લોકલ ટ્રેનના ગાર્ડના નિવેદન અનુસાર બે ચાલતી ટ્રેનમાંથી અમુક પ્રવાસીઓ મુમ્બ્રા સ્ટેશન (ડાઉન ફાસ્ટ લાઈન) નજીક પડ્યા હતા. આ અકસ્માત મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.
નવી લાઈનના નિર્માણ પછી જૂના ટ્રેક ચેન્જ કર્યાં નથી
રેલવે પ્રવાસી સંગઠને કહ્યું હતું કે રેલવેએ નવી લાઈન બનાવ્યા પછી હજુ પણ યોગ્ય રીતે નવી લાઈનનો ઉપયોગ કરતું નથી. લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોને વારંવાર છોડવામાં આવે છે, પરંતુ લોકલ ટ્રેનોને કલ્યાણ પછીના સ્ટેશનો પર રોકી દેવાય છે, તેથી ટ્રેનો મોડી પડે છે. એટલું જ નહીં, નવી લાઈન બનાવ્યા પછી જૂના ટ્રેક ચેન્જ કરવામાં આવ્યા નથી. મુમ્બ્રા સેક્શનમાં લોકલ ટ્રેનો સ્પીડમાં ક્યારેક ઝૂકતી હોય છે, તેથી ફૂટબોર્ડ પર ઊભેલા પ્રવાસીઓ પર પ્રેશર બિલ્ડ થાય છે અને જો કોઈ હેન્ડલ પક્ડયું ના હોય તો ટ્રેનમાંથી પડી શકે છે, એમ સંગઠને દાવો કર્યો હતો. આ મુદ્દે ડોંબિવલીના એક પ્રવાસીએ કહ્યું હતું કે મુમ્બ્રા સેક્શનમાંથી જ્યારે પણ લોકલ ટ્રેન પસાર થાય છે, સ્ટેશનથી લઈને ટનલ સુધીનો વળાંકમાં એક જર્ક લાગે છે, જે દરેક વખતે ડરામણો સાબિત થયો છે. આ વળાંકવાળી જગ્યામાંથી પસાર થતી વખતે જો પ્રવાસીઓ ફૂટબોર્ડ પર ટ્રાવેલ કરતા હોય તો તેમણે ટ્રેનને બરાબર પકડવાનું જરુરી રહે છે નહીં તો ટ્રેક પર પડવાની સંભાવના રહેલી છે, એમ અનિલ પાંડેએ જણાવ્યું હતું.
અકસ્માત અંગે જવાબદાર પરિબળ કયું?
રેલવેના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે હાલમાં આ બનાવ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ અકસ્માત અંગે અનેક સંશય છે. અકસ્માતની પ્રાથમિક માહિતી અનુસાર મુમ્બ્રામાં બે ટ્રેન પસાર થતી વખતે બંને ટ્રેનના પ્રવાસીની બેગપેક સંસર્ગમાં આવવાથી પ્રવાસીઓ ટ્રેક પર પડ્યા હોઈ શકે છે, જ્યારે બીજી એક શક્યતા પ્રમાણે પ્રવાસીઓ વચ્ચે અંદરોઅંદર મારામારી થઈ હોઈ શકે છે.
જો પ્રવાસીઓ વચ્ચે મારપીટ થઈ હોય તો મહિલાઓને કઈ રીતે ઈજા પહોંચી એ પણ સવાલ ઊભો થયો હતો. મુમ્બ્રા સેક્શનમાં ટર્નિંગ હોવાથી સ્પીડમાં ટ્રેન પસાર થતી વખતે શક્ય છે કે પ્રેશર ઊભું થયું હોવાથી પ્રવાસીઓએ સંતુલન ગુમાવ્યું હોઈ શકે છે. આમ છતાં હજુ સુધી નક્કર માહિતી મળી નથી. રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવ્યા પછી ખબર પડશે. આ અકસ્માત અંગે નક્કર કારણ જાણવા મળ્યું નથી. આ અકસ્માત અંગે પ્રિન્સિપાલ ચીફ સેફ્ટી ઓફિસર (પીસીએસઓ) દ્વારા તપાસ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડો. સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું.
2024માં ચાલતી ટ્રેનમાંથી પડતા 387 જણનાં મોત
મધ્ય રેલવેની મેઈન લાઈનમાં સીએસએમટીથી કલ્યાણ/કસારા/કર્જત સેક્શનમાં કુલ 26 લાખથી વધુ પ્રવાસી મુસાફરી કરે છે, જેમાં થાણે અને કર્જત/કસારા સેક્શનમાં 11 લાખ પ્રવાસીનો સમાવેશ થાય છે. રેલવેમાં લોકલ ટ્રેન સંબંધિત વિવિધ અકસ્માતમાં અનેક પ્રવાસીઓ મોતને ભેટે છે, જેમાં ગયા વર્ષે 387 પ્રવાસીનાં મોત થયા હતા, જ્યારે 788 જણને ઈજા પહોંચી હતી.
વધતા અકસ્માતો રેલવે પોલીસ અને પ્રશાસન માટે અનેક પડકારો ઊભા કર્યા છે. રેલવે પુલ, એસ્કેલેટર, લિફ્ટ સહિત અને ટ્રેનોની ફ્રિકવન્સી વધાર્યા પછી વધતી સંખ્યા પ્રશાસન માટે પડકાર છે. મધ્ય રેલવેમાં રોજના 40 લાખ અને પશ્ચિમ રેલવેમાં 35 લાખ પ્રવાસી ટ્રાવેલ કરે છે, પરંતુ નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે હજારો પ્રવાસીઓ બિનજરુરી ભોગ બને છે. રેલવે એક્ટિવિસ્ટના દાવા અનુસાર છેલ્લા 20 વર્ષમાં 51,802 લોકોએ જીવ ગુમાવ્યા છે. 2005થી જુલાઈ 2024 સુધીમાં મધ્ય રેલવેમાં 29,231 અને પશ્ચિમ રેલવેમાં 22481 લોકો મોતને ભેટ્યાં છે. મધ્ય રેલવેમાં કલ્યાણ, થાણે, વસઈ અને બોરીવલી (પશ્ચિમ રેલવે) સેક્શનમાં સૌથી વધુ અકસ્માતો થાય છે, જે ગંભીર વાત છે. રેલવેએ સૌથી વધુ પંદર કોચની ટ્રેન દોડાવવાનું જરુરી છે, એમ એક્ટિવિસ્ટે જણાવ્યું હતું.
સમસ્યાનો ઉકેલ ઓટોમેટિક ક્લોઝ ડોર લોકલ
મુંબઈ રેલવેમાં સર્જાયેલી દુર્ઘટના મુદ્દે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સોમવારે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ)ના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાસ કરીને મુંબઈની લોકલ ટ્રેન મુદ્દે ચર્ચા કરી હતી. મુંબઈની લોકલ ટ્રેનમાં ખાસ કરીને ઓટોમેટિક ક્લોઝડોરવાળી ટ્રેન લાવવાથી ઉકેલ લાવી શકાય એના અંગે ચર્ચા કરી હતી.
નોન એસી ટ્રેનમાં ઓટોમેટિકડોર માટે ખાસ તો વેન્ટિલેશનની સમસ્યા ઊભી થાય. જોકે, એના ઉકેલ માટે રેલવેએ દરવાજામાં લૂવર્સ (હવાઈ પટ્ટી) લગાવવામાં આવે, જેથી દરવાજા બંધ થયા પછી હવાની અવરજવર રહે. કોચની છત પર વેન્ટિલેશન યુનિટ્સ બેસાડવામાં આવે, જે બહારથી તાજી હવા અંદર આવી શકે. ઉપરાંત, કોચમાં વેસ્ટિબ્યુલ્સ હોય, જેથી પ્રવાસીઓ એક કોચમાંથી બીજા કોચમાં સરળતાથી અવરજવર કરી શકે અને ભીડને પણ નિયંત્રિત કરી શકાય. આ નવી ડિઝાઈનવાળી ટ્રેન નવેમ્બર, 2025માં મળશે, જ્યારે આ ટ્રેન જાન્યુઆરી, 2026માં ઓપરેશનમાં લાવવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મૃતક અને ઈજાગ્રસ્તની યાદી
મુમ્બ્રા રેલવે સ્ટેશન નજીક બે ટ્રેનમાંથી પડતા 13 પ્રવાસીને ઈજા પહોંચી હતી, જેની યાદી આ પ્રમાણે છે. શિવા ગવળી (23), આદેશ ભોઈર (26), રિહાન શેખ (26), અનિલ મોરે (40 વર્ષ), તુષાર ભગત (22), મનીષ સરોજ (26), મછિન્દ્ર ગોટાર્ને (39), સ્નેહા દોંડે (21) અને પ્રિયંકા ભાટિયા. ઉપરાંત, ચાર મૃતકની ઓળખ મયુર શાહ, કેતન દિલીપ સરોજ (ઉલ્હાસનગર રહેવાસી, રાહુલ સંતોષ ગુપ્તા, વિક્કી બાબાસાહેબ (રેલવે પોલીસનો જવાન) તરીકે કરી છે.