રાહતનો શ્વાસ: માનવ તસ્કરીની શંકામાં ચાર દિવસથી ફ્રાન્સમાં રોકવામાં આવેલું પ્લેન આખરે મુંબઇ પહોંચ્યુ
![Crew members board the plane grounded by police at the Vatry airport on Monday. The plane landed in Mumbai shortly after 4 am on Tuesday](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/Crew-members-board-the-plane-grounded-by-police-at-the-Vatry-airport-on-Monday.-The-plane-landed-in-Mumbai-shortly-after-4-am-on-Tuesday.webp)
મુંબઇ: છેલ્લાં ચાર દિવસથી માનવ તસ્કરીની શંકાને પગલે ફ્રાન્સમાં રોકવામાં આવેલું ચાર્ટર પ્લેન આખરે મંગળવારે વહેલી સવારે મુંબઇ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. એક અધિકારીના જણાવ્યા મુજબ આ પ્લેનમાં 276 મુસાફરો હતા. જેમાં મોટાભાગના ભારતીય છે. એરબસ A340 બપોરે લગભગ 2:30 વાગે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પરથી નીકળ્યું હતું અને મંગળવારે સવારે 4 વાગ્યાની આસપાસ આ પ્લેન મુંબઇ એરપોર્ટ પર લેન્ડ થયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર ચાર દિવસ પહેલાં નિકારાગુઆ જઇ રહેલ રોમાનીયા કંપનીની ફ્લાઇટને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ રોકવામાં આવી હતી. 303 મુસાફરોને લઇ જઇ રહેલા ચાર્ટર પ્લેને સંયુક્ત અરબ અમીરાતના દુબઇથી ટેકઓફ કર્યુ હતું. મનાવ તસ્કરીની શંકામાં 21મી ડિસેમ્બરના રોજ પેરિસથી લગભગ 150 કિમી અંતરે આવેલ પૂર્વ વેટ્રી એરપોર્ટ પર આ પ્લેન રોકવામાં આવ્યું હતું.
એક મીડિયા રિપોર્ટ અનુસાર ફ્રાન્સના અધિકારીઓના જણાવ્યા મુજબ આ વિમાન જ્યારે મુંબઇ જવા રવાના થયું ત્યારે તેમાં 276 મુસાફરો હતાં. બે સગીરો સહિત 25 લોકોએ શરણાગતી માટે આવેદન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે તેઓ ફ્રાન્સની ધરતી પર હતાં. ફ્રાન્સના એક મીડિયા રિપોર્ટ મુજબ બે સગીરોને જજ સામે રજૂ કરવામાં આવ્યા હતાં. અને તેમને સાક્ષી બનાવીને મૂક્ત કરવામાં આવ્યા હતાં.
એક અધિકારીના જાણાવ્યા મુજબ આ મુસાફરોને એરપોર્ટના એન્ટ્રી હોલમાં રાખવામાં આવ્યા હતા. અને આ એન્ટ્રી હોલને કવર કરવામાં આવ્યો હતો. પોલીસે આ એન્ટ્રી હોલમાં અન્ય મુસાફરોની એન્ટ્રી પર પ્રતીબંધ લગાવ્યો હતો. પેરીસ પ્રોસીક્યુટર ઓફીસમાંથી મળતી જાણકારી મુજબ શુક્રવારે અટક કરવામાં આવેલ 2 મુસાફરોની શનિવારે ફરી 48 કલાક માટે અટક કરવામાં આવી હતી. અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
જે વિમાનને ફ્રાન્સમાં રોકવામાં આવ્યું હતું તે લીજન્ડ એરલાઇન્સની હતી. આ ઘટના બાદ એરલાઇન્સના વકીલ લિલિયાના બકાયોકોએ કહ્યું કે, એરબસ A340ના ચાલક દળના તમામ સદસ્યોની પૂછપરછ બાદ એમને જવાની પરવાનગી આપવામાં આવી છે.