સરકાર વિપક્ષના ‘દબાણ’ હેઠળ ઝૂકી ગઈ: આદિત્ય ઠાકરે
ઠાકરે અને અન્ય વિપક્ષી વિધાનસભ્યોએ વિધાન ભવનના પગથિયાં પર ‘મી મરાઠી’ (હું મરાઠી છું) લખેલા પ્લેકાર્ડ પકડીને પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ સોમવારે એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સરકારે વિપક્ષ અને નાગરી સમાજના ‘દબાણ’ને કારણે પ્રાથમિક ધોરણોમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.
આદિત્ય ઠાકરે, વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવે, ભાસ્કર જાધવ અને અન્ય વિપક્ષી વિધાનસભ્યે મુંબઈમાં વિધાન ભવનના પગથિયાં પર ‘મી મરાઠી’ (હું મરાઠી છું) લખેલા પ્લેકાર્ડ પકડીને પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કર્યું હતું.
‘સત્તા પર દબાણનો વિજય થયો,’ એમ ઠાકરેએ વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસની શરૂઆતમાં વિધાન ભવનના પરિસરમાં પત્રકારોને જણાવ્યું હતું.
મહારાષ્ટ્રની શાળાઓમાં પહેલા ધોરણથી પાંચમા સુધી હિન્દી ભાષા દાખલ કરવાના વધતા વિરોધનો સામનો કરી રહેલા રાજ્ય પ્રધાન મંડળે રવિવારે ત્રિભાષા નીતિના અમલ અંગેના બે જીઆર (સરકારી આદેશો) પાછા ખેંચવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો: બીએમસી ચૂંટણીમાં આદિત્ય ઠાકરે વિરુદ્ધ શ્રીકાંત શિંદે
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું કે જીઆર પાછા ખેંચી લેવામાં આવ્યા છે, અને ત્રિભાષા નીતિ પર આગળ વધવાનો માર્ગ સૂચવવા માટે શિક્ષણવિદ્ નરેન્દ્ર જાધવની આગેવાની હેઠળ એક સમિતિની રચનાની જાહેરાત કરી હતી.
‘સત્તા હોવા છતાં હિન્દી લાદવાનો વિરોધ કરી રહેલા લોકો, વિપક્ષ અને અન્ય લોકોના દબાણને કારણે સરકારે પોતાના આદેશ પાછા ખેંચવા પડ્યા હતા,’ એવો દાવો ઠાકરેએ કર્યો હતો.
‘જ્યાં સુધી સરકાર લેખિતમાં ઔપચારિક નિર્ણય ન લે ત્યાં સુધી અમે સરકાર પર અમારું દબાણ ચાલુ રાખીશું. અમને હવે આ સરકાર પર વિશ્વાસ નથી. દિલ્હી સમક્ષ મરાઠી લોકોની એકતા દર્શાવવી જોઈએ,’ એમ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્રે કહ્યું હતું.
સરકારના નિર્ણય પાછળના હેતુઓ વિશે પૂછવામાં આવતા, આદિત્ય ઠાકરેએ એવો આરોપ લગાવ્યો હતો કે, ‘ભાજપ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના ઉદ્ધવ અને (મનસેના વડા) રાજ ઠાકરે વચ્ચે કોઈપણ પ્રકારે એકતા ન થાય તે માટે સખત મહેનત કરી રહી છે, પરંતુ જો તેઓ વિચારે છે કે તેઓ મરાઠી ગૌરવને વિભાજિત કરી શકે છે તો તેઓ ભૂલ કરી રહ્યા છે.’
આ પણ વાંચો: મહારાષ્ટ્રના હિત માટે સાથે લડીશું: આદિત્ય ઠાકરેએ મનસે સાથે જોડાણનો સંકેત આપ્યો…
દાનવેએ કહ્યું હતું કે, ‘અમને ખુશી છે કે અમારી માગણીઓ આંશિક રીતે પૂર્ણ થઈ છે, પરંતુ અમે હજુ પણ મહારાષ્ટ્ર સરકાર પર શંકા રાખીએ છીએ, ખાસ કરીને કારણ કે તેણે હવે આ બાબતનો વધુ અભ્યાસ કરવા માટે બીજી સમિતિની રચના કરી છે.’
એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલે એવો દાવો કર્યો હતો કે હિન્દી ભાષા લાગુ કરવાના સરકારના નિર્ણયો ઉલટાવી દેવાથી તે જાહેર ભાવનાઓથી કેટલી દૂર છે તે દર્શાવે છે.
‘હિન્દી ભાષા લાદવાના પોતાના નિર્ણયો પાછા ખેંચવાથી દેખાય છે કે આ સરકાર લોકોની ચિંતાઓથી કેટલી દૂર છે. તે વહીવટની નિષ્ક્રિયતા પર પણ ભાર મૂકે છે,’ એવો ગંભીર આરોપ તેમણે લગાવ્યો હતો.
આ પણ વાંચો: મ્યુનિસિપલ તિજોરી ખાલી કરી નાખી, હવે રાજ્ય સરકાર વળતર આપે: આદિત્ય ઠાકરે
રાજ્ય વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થયું છે અને 18 જુલાઈ સુધી ચાલશે. ગૃહની કાર્યવાહી શ્રદ્ધાંજલિના સંદર્ભોથી શરૂ થઈ, જ્યારે વિપક્ષે સ્પષ્ટ કર્યું કે તે સરકારને કૃષિ લોન માફી, કૃષિ પેદાશોના વાજબી ભાવ, ફુગાવા, રોજગાર, શિક્ષણ અને કથિત વહીવટી અનિયમિતતાઓ જેવા વિવિધ મુદ્દાઓ પર નિશાન બનાવશે.