નેપાળથી ગુમ કિશોરી મહિના બાદ નાલાસોપારામાં મળી
![A missing girl from Nepal was found in Nalasopara after a month ](https://bombaysamachar.com/wp-content/uploads/2023/10/Mumbai-Samachar-Logo.jpg)
પાલઘર: નેપાળમાં રહેતી 15 વર્ષની કિશોરી ગુમ થયાના મહિના બાદ પાલઘર જિલ્લાના નાલાસોપારા ખાતેથી મળી આવી હતી. નેપાળના ઘરેથી નીકળેલી સગીરા ભારતમાં શા માટે આવી તેની કોઈ જાણકારી મળી શકી નહોતી.
પોલીસના જણાવ્યા મુજબ નેપાળના લુમ્બિની ખાતે રહેતી કિશોરી ગુમ થઈ હોવાની ફરિયાદ તેના વડીલોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
નેપાળની કિશોરી નાલાસોપારામાં હોવાની માહિતી તાજેતરમાં પાલઘરની એક બિનસરકારી સંસ્થા (એનજીઓ)ને મળી હતી. સંસ્થા દ્વારા આ અંગે પોલીસને જાણ કરાઈ હતી, એવું મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલના નાલાસોપારા યુનિટના સિનિયર ઈન્સ્પેક્ટર સંતોષ ચૌધરીએ જણાવ્યું હતું.
પોલીસે કિશોરીને શોધવા સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. આખરે નાલાસોપારાના ધાનિવબાગ વિસ્તારની એક રૂમમાંથી કિશોરી મળી આવી હતી. કિશોરીને ફરી નેપાળ મોકલવામાં આવી હતી અને પરિવારજનો સાથે તેનું મિલન કરાવાયું હતું. કિશોરીને શોધી કાઢવામાં નેપાળ એમ્બેસીએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)