થાણેમાં વેપારીની ગળાફાંસો ખાઇ આત્મહત્યા
થાણે: થાણે પશ્ચિમમાં હીરાનંદાની એસ્ટેટ ખાતે સોસાયટીમાં રહેતા 42 વર્ષના વેપારીએ પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. કાસારવડવલી પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હોઇ વેપારીએ ડિપ્રેશનમાં અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ જિનાંગ જિતેન્દ્ર સલોત તરીકે થઇ હોઇ તેે થાણે પશ્ચિમમાં પાતલીપાડા વિસ્તારમાં હીરાનંદાની એસ્ટેટ ખાતેની ઓક્સફર્ડ સોસાયટીમાં રહેતો હતો. સલોતે બુધવારે બેડરૂમમાં પંખાના હુક સાથે વાયર બાંધીને ગળાફાંસો ખાધો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન બનાવની જાણ થતાં કાસારવડવલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સલોતને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. સલોતના મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર સલોતની સારવાર ચાલી રહી હતી.