આમચી મુંબઈ

ખાર સબ-વે પર બનશે બ્રિજ બાંદ્રા સ્ટેશનથી જોડાશે ટર્મિનસ

મુંબઈ: ખાર સબ-વેમાં ટ્રાફિક જામને કારણે આસપાસના વિસ્તારોને પણ અસર થતી હોય છે. આ સમસ્યાથી લોકોને નજીકના સમયમાં જ છુટકારો મળવાનો છે. પાલિકાએ ખાર સબ-વે રોડ પર ફ્લાયઓવર બનાવવાની પ્રક્રિયાને શરૂ કરી દીધી છે. બીજી બાજુ બાંદ્રા સ્ટેશનથી બાંદ્રા ટર્મિનસ જનારાઓને પણ આગામી દિવસમાં મોટી રાહત મળવાની છે. પાલિકાએ બાંદ્રા પૂર્વમાં સ્ટેશનથી ટર્મિનસ સુધી બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે. આ બ્રિજ બનવાને કારણે પ્રવાસીઓને ટર્મિનસ જવા માટે બાંદ્રા ઈસ્ટમાં ટેક્સી અને રિક્ષાવાળાઓ દ્વારા લેવામાં આવતાં મનમાનીભર્યાં ભાડાં ચૂકવવાથી રાહત મળશે અને ટ્રાફિકની સમસ્યાનો પણ સામનો નહીં કરવો પડે.મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને અહીંના સ્થાનિક લોકોએ ટ્રાફિક જામની સમસ્યાની ફરિયાદ કરી હતી. એ સમયે મુખ્ય પ્રધાને નાગરિકોને આશ્ર્વાસન આપ્યું હતું કે અહીં સબ-વેની ઉપર ફ્લાયઓવર બનાવવામાં આવશે. આ સંબંધે રેલવે અને પાલિકા અધિકારી સમન્વય કરીને ફ્લાયઓવર બનાવવાનો કોઇ માર્ગ કાઢશે, એવું નક્કી કરવામાં આવ્યું હતું. પાલિકાના બ્રિજ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે કમિશનરે અમને આ પ્રોજેક્ટ માટે ડીપીઆર (ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. પાલિકાની યોજના છે કે ફ્લાયઓવર દ્વારા ખાર ઈસ્ટ અને વેસ્ટને જોડવામાં આવે. આ બ્રિજ એસવી રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને જોેડશે. આ બ્રિજ બનવાથી ખારની સાથે સાંતાક્રુઝ, બાંદ્રા, એસવી રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની ટ્રાફિકની સમસ્યનો ઉકેલ આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button