છત્રપતિ સંભાજીનગરમાં મોટો અકસ્માતઃ શેરડીથી ભરેલી ટ્રક ઊંધી વળતા 6 મજૂરનાં મોત…

મુંબઈઃ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં 6 મજૂરોએ જીવ ગુમાવ્યા હતા. અહીંના કન્નડ પિશોર ઘાટ પર રવિવારે મોડી રાત્રે શેરડીથી ભરેલી ટ્રક અચાનક પલટી ગઈ હતી. શેરડીની ટ્રક પર બેઠેલા 17 મજૂરો ઘાટ પાસે રોડ પર પડી ગયા અને ટ્રકમાં ભરેલી શેરડી તે મજૂરો પર પડી હતી. 6 મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને 11 મજૂરો સારવાર હેઠળ છે.
પિશોર પોલીસ ઈન્સ્પેક્ટર રંગરાવ સાનપે જણાવ્યું કે રવિવારે મધરાતે શેરડીથી ભરેલી ટ્રક પિશોરથી કન્નડ જઈ રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી. રસ્તામાં એક ઘાટ પાસે શેરડી ભરેલી ટ્રક અચાનક પલટી ગઈ હતી. તેના પર 17 જેટલા મજૂર બેઠા હતા. ઓવરલોડિંગને કારણે ટ્રક રોડ પર પલટી ગઈ હતી અને મજૂરો દટાઈ ગયા હતા.
Also read : મહારાષ્ટ્ર બજેટ 2025: કરવેરા આવકનો લક્ષ્યાંક ₹3.87 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો, માફી યોજનાની જાહેરાત…
પોલીસને આ ઘટનાની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મજૂરો પર પડેલી શેરડીને હટાવી હતી. પરંતુ ત્યાં સુધીમાં શેરડીની નીચે દટાઈ જવાથી છ કમનસીબ મજૂરોના મોત થયા હતા, જ્યારે 11 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને ચાલીસ ગામ અને છત્રપતિ સંભાજીનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલ પિશોર પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને મજૂરોના આધાર કાર્ડ પરથી ઓળખ કરીને પરિવારોને જાણ કરવામાં આવી રહી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૃત્યુ પામનાર મજૂરની ઓળખ કરવામાં આવી છે. મૃતકના નામ ખેડૂત ધર્મુ રાઠોડ (ઉંમર 30 વર્ષ), મનોજ નામદેવ ચવ્હાણ (ઉંમર 23 વર્ષ), ક્રિષ્ના મૂળચંદ રાઠોડ (ઉંમર 30 વર્ષ), મિથુન મહારુ ચવ્હાણ (ઉંમર 26 વર્ષ), સતકુડ (28 વર્ષ) અને જ્ઞાનેશ્વર દેવીદાસ ચવ્હાણ (ઉંમર 36 વર્ષ) છે.



