JCB ચાલક દ્વારા કેબલને નુકસાન: Central Railwayને ૧.૫ લાખનું વળતર
છેલ્લા આઠ મહિનામાં રેલવે એક્ટના ભંગ બદલ રેલવેને મળ્યા 51 લાખ મળ્યાં

મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેનું સૌથી મોટું અને લાંબુ નેટવર્ક છે, જેમાં રોજની હજારો લોકલ ટ્રેનની ફેરી દોડાવવામાં આવે છે, જ્યારે અનેક જગ્યાએ વિવિધ ઈન્ફ્રાસ્ટ્રકચરના કામકાજ ચાલુ હોય છે, પરંતુ ક્યાંકને ક્યાંક નિયમોનું ઉલ્લંઘન કરતા રેલવેને ફટકો પડે છે. ગયા મહિના દરમિયાન રેલટેલના કેબલને નુકસાન પહોંચાડનારા પાસેથી સેન્ટ્રલ રેલવે (Central Railway)એ દોઢ લાખનું વળતર મળ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
વિવિધ કારણોસર વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા રેલવે પર કાનૂની દાવાઓ કરીને કે આંદોલનો દ્વારા અનેક પ્રકારના વળતર નુકસાની પેટે વસુલવામાં આવે છે. પણ, હવે રેલવે જાગૃત થઇ છે અને રેલવેનું નુકશાન કરનારાઓ પાસેથી કાનૂની રાહે વળતર મેળવી રહી છે.
આ પણ વાંચો: સેન્ટ્રલ રેલવે આરપીએફએ આટલા કરોડોની ચોરાયેલી સંપત્તિ રિકવર કરી…..
સેન્ટ્રલ રેલવે અને તેની આસપાસ વિવિધ માળખાકીય કામકાજ ચાલી રહ્યા છે, તેથી રેલવે લાઇનમાં જેસીબીની મદદથી કામો કરવામાં આવે છે. જો કે, જેસીબી ચાલક દ્વારા રેલટેલના કેબલને નુકસાન થયું હોવાનું ધ્યાને આવ્યું છે અને જેસીબી ચાલકે રૂ ૧.૫ લાખનો દંડ ભરવાનો વારો આવ્યો છે.
મધ્ય રેલવેના ભિવંડી રોડ અને ખારબાવ વચ્ચે ૨૭ મેના રોજ જેસીબી દ્વારા કામ કરવામાં આવી રહ્યું હતું. આ સમયે રેલટેલના કેબલને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ જેસીબી ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. કલ્યાણ ખાતેની રેલવે કોર્ટમાં આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીઓને દોષી ઠેરવ્યા અને તેમના પર ૧.૬૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો.
આ પણ વાંચો: સેન્ટ્રલ રેલવેના નિવૃત્ત કર્મચારી સાથે 47 લાખ રૂપિયાની છેતરપિંડી
નવમી જૂનના રોજ પણ એક ભારે વાહને તુર્ભે, નવી મુંબઈ ખાતે હાઇટ ગેજ તોડીને રેલ્વે સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું ત્યાર પછી રેલવે સુરક્ષા દળે આરોપીઓ સામે કેસ શરૂ કર્યો. જેમાં બે લાખ રૂપિયાથી વધુના વળતરની માંગણી કરવામાં આવી હતી.
૧૧ જૂને, કલ્યાણની રેલવે કોર્ટે મધ્ય રેલવેની તરફેણમાં ચુકાદો આપ્યો અને આરોપી પર ૨.૦૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. છેલ્લા આઠ મહિનામાં રેલવે મુંબઈ વિભાગમાં રેલવે એક્ટના કેસોમાં કુલ રૂ. ૫૧ લાખનું વળતર મેળવ્યું છે.