માલવણી ગટર દુર્ઘટનામાં ત્રીજો શ્રમિક પણ મૃત્યુ પામ્યો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

માલવણી ગટર દુર્ઘટનામાં ત્રીજો શ્રમિક પણ મૃત્યુ પામ્યો

મુંબઈઃ મલાડમાં અંડર ગ્રાઉન્ડ ગટરમાં ત્રણ શ્રમિકો પડી જતા દુર્ઘટના સર્જાય હતી. જેમાં શનિવારના રોજ મૃત્યુઆંક વધીને ત્રણ થવા પામ્યો છે.

પ્રથમ ગુરુવારની સાંજે બનેલી ઘટનામાં 15 ફૂટ ઉંડી અંડર ગ્રાઉન્ડ ગટરમાં પડી જવાથી બે લોકોના મૃત્યુ સર્જાયા હતા. ફાયર બ્રિગેડના સુત્રોએ જણાવ્યું હતું કે ત્રીજી વ્યક્તિ જેને સરકાર સંચાલીત હોસ્પિટલમાં ખસેડાયો હતો શનિવારની સવારે તે પણ મૃત્યુ પામ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ઘટના મલાડ વેસ્ટના અંબુજવાડી વિસ્તારમાં અબ્દુલ હમીદ રોડ સ્થિત માલવણી ગેટ નંબર આઠ પર ઘટવા પામી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ત્રીજો ભોગબનનાર 45 વર્ષિય રામલગન છોટેલાલ કેવટ જે બે દિવસથી સારવાર હેથળ હતો, શનિવારના રોજ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાએ પહેલા જ 18 વર્ષિય સુરજ કેવટ અને 20 વર્ષિય બિકાસ કેવટનો ભોગ લીધો હતો. પબ્લીક ટોયલેટનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટરે આ ત્રણ શ્રમિકોને ગટરની સફાય માટે કોન્ટ્રાક્ટ પર રાખ્યા હતા. ફાયરના સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, આ ત્રણેયને સ્થાનિકો દ્વારા બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

માલવણી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતીના આધારે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (એડીઆર) દાખલ કરવામાં આવી છે. અમને હજુ સુધી આ સંદર્ભમાં કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી, અને અમને જો કોઈ બેદરકારી કે બદઈરાદો જણાશે તો અમે પોતે આના પર કેસ દાખલ કરીશું. અમે હાલ તમામ તથ્યો તપાસી રહ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button