મેટિની

સમજણના દરવાજા ઉંમર પ્રમાણે નહીં, જવાબદારી પ્રમાણે ખુલે છે…

  • અરવિંદ વેકરિયા

એક ધક્કા સાથે બસ ‘હોટેલ ડ્રીમલેન્ડ’ પાસે ઊભી રહી. અડધા ઊંઘમાં તો થોડા શો રદ થયો એની હતાશામાં સૌ કલાકાર પોતપોતાનું લગેજ લઈ નાનકડું ટોળું બની બસ પાસે ઊભું રહ્યું. એક તો ખાનપુર એરિયા, એમાં આ ટોળું, થોડો થડકો તો લાગી જ જાય. ફરક નહોતો પડ્યો બંને નિર્માતાના મોઢા પર. આ મને ગમ્યું.

બસમાં અહીં સુધી આવવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો. ટ્રાફિક નડ્યો અને શો રદ થયો એમાં કોઈ વ્યક્તિગત દોષિત નહોતું. બીજું, ગમે એટલી રાડારાડ કરો, ‘થયું એ ન થયું થવાનું જ નહોતું’ બંને નિર્માતાઓએ સુખ-દુ:ખની સરસ ચાવીઓ સમજાવી. સુખની બે ચાવી, ખડખડાટ અને ઘસઘસાટ.

બસ! વાતનો સ્વીકાર કરી હસી કાઢો અને રોદણાં રડવાને બદલે મસ્ત નિંદર માણી લો એમ દુ:ખની બે ચાવીથી દૂર રહો.. બબડાટ અને કકળાટ. જે ઘટના બની ચુકી હોય એ કેમ બની એની પીંજણ કરી કકળાટ કરવો એ દુ:ખ સિવાય કઈ નથી. શો ભલે રદ થયો પણ સુખ-દુખની શીખ તો મળી.

અમારા નિર્માણ-નિયામક સમીર શાહે સૌને રૂમ એલોટ કરી આપ્યા. ધનજીનો હોટેલ કાઉન્ટર પર એક લેખિત મેસેજ હતો : ‘બુકિંગ સારું હતું. અમુક પ્રેક્ષકોએ આગળના શોની ટિકિટ લીધી તો કેટલાકે રિફંડ લેવું ઉચિત માન્યું. કાલે આવું છું.’

બસનો થાક અને બીજા દિવસના પહેલા શોના વિચારો સાથે હું અને ઈમ્તિયાઝ એક જ રૂમમાં હતા. સવારે સમીર બધાને ભથ્થું આપવા નીકળ્યો. શરૂઆત 30 રૂપિયાથી થઈ હતી અને 100-125 સુધી પહોંચી. બધાને પૂછવું એના કરતાં સવારનો ચા-નાસ્તો, લંચ અને સાંજનો ચા નાસ્તો કલાકાર પોતાની રીતે આ ભથ્થામાંથી કરી લે. રાત્રે શો મોડો પૂરો થાય ત્યારે ગરમ ડિનરની વ્યવસ્થા નિર્માતા કરે. આ વ્યવસ્થા હજી ચાલે છે.

સવારે ધનજી સોલંકીએ આગલા દિવસનો હિસાબ ડોલર-સુભાષને આપી દીધો. ધનજીના કહેવા પ્રમાણે આજે બુકિંગનો ફલો સારો છે. ધનજીએ કહ્યું કે ‘સેન્સરબોર્ડમાંથી 12 મહાનુભાવો જોવા આવવાના છે અને એમણે આપેલા કટ્સ ફોલો કરીએ છીએ કે નહીં એ ચેક કરશે. નાટક કેટલું વાંધાજનક રીતે ભજવાય છે એ જોશે અને કેમ રજૂ કરવું જોઈએ એ સમજાવશે અને ટીકાટિપ્પણ પણ કરશે. ડરવા જેવું નથી, પણ ધ્યાન રાખજો.’

આ વાત બધા કલાકારો વચ્ચે કરી અને નરહરી જાનીને ખાસ ચેતવ્યો. વાંક એનો નહોતો પણ મુંબઈમાં રોજના શો માં પડી ગયેલી આદત મુજબ એવા જેસ્ચર થઈ જવા સહજ હોય એટલે નસ દાબી. અમારે વધુ શો માટે પરમિશન લેવી જરૂરી હતી. બધાએ આ વાત સમજવાની હતી. સમજણનાં દરવાજા ઉંમર પ્રમાણે નહીં, જવાબદારી પ્રમાણે ખુલે છે. બધાને જવાબદારી સહિયારી ઉપાડી લેવા સમજાવી તો દીધું…

મેં ધનજીને પૂછ્યું કે ‘કોણ કોણ આવશે?’ એમણે એક તો જાણીતા અખબારના તંત્રીનું નામ કહ્યું. ખાનપુરથી છપાતું અખબાર હતું જેના કોઈ પ્રતિનિધિ સેન્સરબોર્ડમાં નામાંકિત નહોતા. હા, પણ કોઈ પ્રોબ્લેમ થાય તો નિવેડો લાવવામાં એ અગ્રેસર..

ધનજીએ બીજું નામ લીધું બકુલ ત્રિપાઠીનું.(જાણીતા સાહિત્યકાર જે હયાત નથી.) એ મારી ઓળખમાં. લાલુ શાહે ‘બહુરૂપી’નાં બેનર હેઠળ ચર્ચાસ્પદ નાટક કરેલું, કિસ્સા કુર્સીકા. એ નાટકનું ભવાઈ-આલેખન બકુલભાઈએ કરેલું. મુંબઈ ઘણો સમય સાથે વિતાવેલો. કદાચ મદદરૂપ બને. કોને ખબર! એમની સાથેનું મુંબઈ પૂરતું જ એટેચમેન્ટ હતું. આમ પણ કોઈ વ્યક્તિ સાથે વધુ પડતો લગાવ હાનિકારક હોય છે. એ લગાવ તમને ઉમ્મીદ તરફ ખેંચી જાય છે અને ઉમ્મીદ દુ:ખનું કારણ બને છે, પણ અહીં વધુ શોનું લાઈસન્સ મળે અને એ ઉમ્મીદ સુખનું કારણ બને એવી આશા હતી. ઉપરાંત હતા જોસેફ મેકવાન, રજનીકુમાર પંડ્યા..(થોડા સમય પહેલા એમનું નિધન થયું.) આ રજનીકુમાર એટલે બીજું નજીકનું નામ. શાંતિલાલ પટેલ, અમેરિકાવાસી, જેમના પર ઓટો-બાયોગ્રાફી રજનીકુમારે લખી પુષ્પ દાહ. એના પબ્લિકેશન સમયે ‘આર. આર. શેઠ’ દ્વારા ભગત શેઠે પાટકર હોલમાં કાર્યક્રમ કરેલો. શાંતિભાઈ આવેલા. એ પઠનમાં મેં ભાગ લીધેલો. ત્યારે રજનીકુમાર પંડ્યાને મળ્યો.

આપણ વાંચો:  સ્ટાર-યાર-કલાકાર : ‘સુપર હીરો’ની ‘સુપર કથા’…

ટૂંકમાં સેન્સરબોર્ડમાં બે નામ એવાં હતાં, જે કદાચ મદદરૂપ થઈ શકે. પોતાના સિદ્ધાંતોને વળગી રહી કદાચ સૂચનો મળે પણ સીધી સહાય ન પણ મળે. બીજી વાત ધનજીએ કરી કે મહિલાઓ માટે ‘ઝંડો’ લઇ ફરતું જાણીતું ટેબ્લોઈડ સમભાવના તંત્રી ભૂપેન્દ્ર વડોદરિયા આ નાટકની થયેલ કોઈ એન્ટી-પબ્લિસિટીને લઇ ખાસ નાટક જોઈ સમભાવમાં લખવાના છે.

હવે? બધી બાજુ વિરોધના શામિયાણા બંધાય રહ્યાં હતાં. લાઈસન્સ ભલે 10 પ્રયોગનું હતું, જેમાં એક શો તો ટ્રાફિકમાં રદ થઇ ગયો. આજે હવે પ્રથમ શો રજૂ કરી બધામાંથી સાંગોપાંગ બહાર નીકળવાની કસરત કરવાની હતી. અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી હોય છે, પરંતુ સંજોગોને અનુકૂળ બનાવી જીવતો માણસ વધુ સુખી હોય છે.

ખબર નહીં, આ સેન્સરબોર્ડ અનુકૂળ
બની સુખી બનાવશે કે પછી……..?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button