યુવકે છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ: આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ બે પિતરાઇની ધરપકડ | મુંબઈ સમાચાર

યુવકે છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ: આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ બે પિતરાઇની ધરપકડ

પુણે: પુણેના પિંપરી-ચિંચવડ ખાતે 20 વર્ષના યુવકે ઇમારતના છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવાદોરી ટૂંકાવી હતી. યુવકને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ તેના બે પિતરાઇની પોલીસે ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

કોર્પોરેટ કંપનીમાં કામ કરનારા તેજસ બાજીરાવ સોનગરેએ 12 ફેબ્રુઆરીએ હિંજેવાડી વિસ્તારમાં ઇમારતના છઠ્ઠા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી હતી.

તેજસે મૃત્યુ અગાઉ સોશિયલ મીડિયા પર વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેને અંતિમ પગલું ભરવા માટે તેના બે પિતરાઇ મજબૂર કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: જાલનામાં ‘બાબા’ના ત્રાસથી કંટાળી શખસે કરી આત્મહત્યા

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર તેજસ કોર્પોરેટ કંપનીમાં ઓફિસ બૉય તરીકે કામ કરતો હતો. વીડિયોમાં તેણે આક્ષેપ કર્યો હતો કે તેના પિતરાઇ તેને પગાર વિશે પૂછતા હતા અને વારંવાર ત્રાસ આપતા હતા.

પોલીસે આ પ્રકરણે તપાસ કર્યા બાદ તેજસના બંને પિતરાઇ નીલેશ સંજય પુંડે (25) અને મંગેશ (23) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું) હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. બંને જણને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવતાં તેમને સોમવાર સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. (પીટીઆઇ)

Back to top button