વિરોધ રોકવા સરકારે જીઆર પાછા ખેંચ્યા, મરાઠી એકતા જાળવી રાખવી પડશે: ઉદ્ધવ ઠાકરે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ‘હિન્દી લાદવા’ સામે રાજકીય પક્ષો દ્વારા સંયુક્ત વિરોધ ન થાય તે સુનિશ્ર્ચિત કરવા માટે ત્રિભાષી નીતિ પરના જીઆર (સરકારી આદેશ) પાછા ખેંચ્યા હતા, એવો દાવો શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કર્યો હતો.
વિધાન ભવનમાં પત્રકારો સાથે વાત કરતા, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘મરાઠી માણસો’ની એકતાએ મરાઠી વિરોધીઓના માથાં ફોડી નાખ્યા હતા, અને ‘આગામી કટોકટી’ પહેલાં મરાઠીભાષીઓનો સંયુક્ત મોરચો જાળવી રાખવો જોઈએ.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે વિરોધ મોરચાને બદલે, પાંચમી જુલાઈએ વિજયની ઉજવણી કરવામાં આવશે.
શાળાઓમાં પહેલા ધોરણથી પાંચમા માટે હિન્દી દાખલ કરવા સામે વધતા વિરોધને પગલે રાજ્ય સરકારે ત્રિભાષી નીતિના અમલ સંબંધી બે સરકારી આદેશો (જીઆર) પાછા ખેંચી લીધા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં હિન્દીનો નહીં, કડકાઈનો વિરોધ છેઃ ઉદ્ધવ ઠાકરે…
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભાષા નીતિ પર આગળ વધવાનો માર્ગ સૂચવવા માટે શિક્ષણવિદ્ નરેન્દ્ર જાધવની આગેવાની હેઠળ એક સમિતિની રચનાની જાહેરાત કરી હતી.
‘અમે મરાઠી વિરોધીઓના માથા ફોડી નાખ્યા છે. તેઓ ફરીથી માથું ઉંચુ કરે અને આગામી સંકટ આપણા પર આવે તે પહેલાં, આપણે આ એકતા જાળવી રાખવી જોઈએ. અમે બધા સાથે વાત કરી રહ્યા છીએ. વિજયની ઉજવણીમાં આપણે એ જ એકતા બતાવવાની જરૂર છે,’ એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.
‘હિન્દીને ફરજિયાત બનાવવાનો મુદ્દો સમાપ્ત થઈ ગયો છે અને પાંચમી જુલાઈએ મરાઠી એકતા પ્રદર્શિત થશે,’ એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે વિરોધમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ સાથે વાત કર્યા પછી વિજય ઉજવણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
તેમણે વધુમાં દાવો કર્યો કે જો સરકારે જીઆર પાછા ખેંચ્યા ન હોત, તો શાસક ભાજપ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને એનસીપીના કેટલાક મરાઠી સમર્થક નેતાઓ પણ વિરોધ કૂચમાં ભાગ લેતા જોવા મળ્યા હોત.
‘હું સરકારને ચેતવણી આપી રહ્યો છું કે આ બાબતને હળવાશથી ન લે. આ શિક્ષણ સાથે સંબંધિત છે અને તમે એક અર્થશાસ્ત્રીની નિમણૂક કરી છે,’ એમ તેમણે કહ્યું હતું.