મહારાષ્ટ્ર

ભારત – પાકિસ્તાન તણાવ: મહારાષ્ટ્રના ધાર્મિક-પર્યટક સ્થળો પર કડક સુરક્ષા વ્યવસ્થા

મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના પગલે દેશના મહત્વના ધાર્મિક સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ધાર્મિક અને પર્યટક સ્થળોની સુરક્ષા વધારી છે. મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિર બાદ હવે શિરડીના સાંઈબાબા દેવસ્થાનને પણ સાવધ રહેવા જણાવી દેવાયું છે.

શિરડીના મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોવાથી હવે મંદિરમાં ચઢાવવામાં આવનાર ફૂલ, માળા અને અન્ય પૂજાની વસ્તુઓનું સ્કેનિંગ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મંદિર પરિસરમાં કોઈ પણ શંકાસ્પદ પદાર્થ દાખલ ન થાય એ માટે બધી વસ્તુઓની ખાસ મશીનોથી તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવીના માધ્યમથી ભીડ પર ચાંપતી નજર રાખી મંદિરની સુરક્ષા માટે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોબાઇલ ફોન્સ અને અન્ય ઇલેક્ટ્રિકલ ઉપકરણો પર ફરજિયાત પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાતમાં એલર્ટ, સોમનાથ અને દ્વારકા મંદિરની સુરક્ષા વધારવામાં આવી

મંદિરમાં પ્રવેશ કરતી વખતે ભક્તોને હવે મોબાઇલ ફોન, પાવર બેંક અને લેપટોપ જેવા ઉપકરણો સાથે રાખવાની મંજૂરી નથી. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મંદિર પરિસરમાં 24 કલાક ભક્તોની ભીડ અને અવરજવર પર ચાંપતી નજર રાખવા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરક્ષા કર્મચારીઓને ખાસ ટ્રેઈનિંગ આપવામાં આવી છે અને શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુઓ જોવા મળે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સરહદ પર તણાવના પગલે મુંબઇમાં તંત્ર સાવધ થઈ ગયું છે. ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પહેરો વધારવામાં આવ્યો છે. પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી, નાગરિક સંરક્ષણ દળો, એનસીસી, એનએસએસ વગેરે સજ્જ રાખવામાં આવ્યા છે. સંવેદનશીલ સ્થળો પર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. તારાપુર, બીએઆરસી, મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળો, પર્યટન સ્થળો અને લોકોની ભીડ હોય તેવા સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button