ભાગવત બંધારણના નિર્માતા નથી, રાઉતે ‘સાચી સ્વતંત્રતા’ ટિપ્પણી પર કહ્યું

મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે મંગળવારે આરએસએસના વડા મોહન ભાગવતના એવા નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો કે ભારતની ‘સાચી સ્વતંત્રતા’ અયોધ્યામાં રામ મંદિરના પ્રતિષ્ઠા પછી સ્થાપિત થઈ હતી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા બંધારણના નિર્માતા નહોતા, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે ભગવાન રામનો ઉપયોગ રાજકીય લાભ માટે ન થવો જોઈએ. સંઘના વડાએ એવી ટિપ્પણી કરી હતી કે સદીઓથી વિદેશી આક્રમણોનો ભોગ બનેલા ભારતને સાચી સ્વતંત્રતા ગયા વર્ષે અયોધ્યામાં રામ મંદિરના પ્રતિષ્ઠા પછી મળી હતી.
‘આરએસએસના વડા એક આદરણીય વ્યક્તિ છે, પરંતુ તેઓ બંધારણના નિર્માતા નથી. તેઓ આ દેશના કાયદાઓનો મુસદ્દો તૈયાર કરતા નથી કે તેમાં ફેરફાર કરતા નથી. રામ લલ્લાની પ્રતિષ્ઠા ખરેખર દેશ માટે ગર્વની ક્ષણ છે અને દરેક વ્યક્તિએ મંદિરના નિર્માણમાં યોગદાન આપ્યું છે, પરંતુ એવો દાવો કરવો કે દેશ હમણાં જ સ્વતંત્ર થયો તે ખોટું છે,’ એમ રાઉતે અહીં પત્રકારોને જણાવ્યું હતું. રાજ્યસભાના સભ્યે જણાવ્યું હતું કે, ભારતને 1947માં આઝાદી મળી હતી, અને ઉમેર્યું હતું કે ભગવાન રામના નામ પર રાજકારણ ન થવું જોઈએ.
Also read: સંજય રાઉતના બંગલોની બે મોટરસાઇકલ સવારોએ રૅકી કરી: પોલીસે તપાસ આદરી…
‘રામ લલ્લા હજારો વર્ષોથી આ ભૂમિ પર અસ્તિત્વ ધરાવે છે. અમે તેમના માટે લડ્યા છીએ અને લડતા રહીશું, પરંતુ રાજકીય લાભ માટે રામ લલ્લાનો ઉપયોગ કરવાથી દેશને સાચી સ્વતંત્રતા મળશે નહીં,’ એમ સેના (યુબીટી)ના નેતાએ જણાવ્યું હતું.
સોમવારે એક કાર્યક્રમમાં બોલતા, ભાગવતે કહ્યું હતું કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસને ‘પ્રતિષ્ઠા દ્વાદશી’ તરીકે ઉજવવો જોઈએ, કારણ કે ઘણી સદીઓથી ‘પરાચક્ર’ (વિદેશી આક્રમણો)નો સામનો કરી રહેલા ભારતની ‘સાચી સ્વતંત્રતા’ તે દિવસે સ્થાપિત થઈ હતી. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી, 2024 ના રોજ થઈ હતી, જે હિન્દુ કેલેન્ડર મુજબ પોષ મહિનાના શુક્લ પક્ષની ‘દ્વાદશી’ હતી.